અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના પછી જીલ્લા પોલીસતંત્રને પ્રોહિબિશનની અમલવારી વધુ કડક બનાવવા આદેશ આપતા દેશી-વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પરથી આવતો દારૂ પણ અટકી ગયો છે આવી સ્થિતિમાં કુખ્યાત બુટલેગરો પોલીસને થાપ આપવામાં સફળ રહ્યા હોય તેમ રાજસ્થાનમાંથી વિદેશી દારૂ મંગાવી ત્રણ ઘણા ભાવે વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લામાં ભાવનગર લઠ્ઠાકાંડ પછી વિદેશી દારૂની બોટલ લેવા માટે વિદેશી દારૂનું સેવન કરનાર દારૂના રસિકો દોડાદોડી કરી રહ્યા છે કુખ્યાત બુટલેગરો પોલીસની સખ્ત કાર્યવાહીનો ફાયદો ઉઠાવી જોખમ હોવાનું કહીને વિદેશી દારૂ ની કુત્રિમ તંગી સર્જી દારૂની બોટલ કિંમત 3 ગણી કરી દીધી છે.જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ અંતરિયાળ વિસ્તારોમાંથી બાઈક અને પગદંડી ખેપિયા મારફતે બુટલેગરો વિદેશી દારૂ લાવી મનફાવે તેવા ભાવે વેચાણ કરી આવક ત્રણ ઘણી કરી દીધી છે
કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને બુટલેગરો વચ્ચેની જુગલબંધીની ચર્ચા ચારેકોર
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાની દારૂબંધીને લઈને સખ્ત સૂચના હોવા છતાં ભ્રષ્ટ પોલીસકર્મીઓની મદદથી બુટલેગરો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે-તે પોલીસ સ્ટેશનના વહીવટદારને સ્થાનિક વિસ્તારમાં પોલીસના ચેકિંગ પોઈન્ટની પૂરતી માહિતી હોય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વહીવટદારોના માણસો બુટલેગર કે દારૂ સપ્લાય કરનાર વ્યક્તિને ચોક્કસ રૂટની સૂચના આપે છે, જેથી તેઓ પોલીસ ચેકિંગથી બચી શકે. આમ, ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ વિદેશી દારૂનો વેપલો કેટલાક વિસ્તારોમાં અવિરતપણે ચાલી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે






