અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારોની પડખે ઉભા રહેવામાં જિલ્લા વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સફાઈનો કોન્ટ્રાક્ટ લેતી કંપનીઓના ઘૂંટણિયે પડેલ જિલ્લા વહીવટી તંત્ર સફાઈ કામદારોની વેદન સાંભળવામાં જરાય રસ દાખવતી ન હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. માલપુર એસ.ટી. સ્ટેન્ડ માં કામ કરતા સફાઈ કામદારોને છૂટા કરી દેવાતા રોષ વ્યાપી ગયો છે, અને ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં ધરણાં યોજ્યા છે.
માલપુર બસ સ્ટેશન નવું બન્યું ત્યારથી પાંચ જેટલા સફાઈ કામદારો કાર્યરત હતા જેમાં મનોજભાઈ બાબુભાઇ બાલ્મિકી, કરણભાઈ સુખાભાઈ વાલ્મિકી, પુષ્પાબહેન અમૃતભાઈ વાલ્મિકી, લત્તાબહેન બાબુભાઈ બાલ્મિકી અને નિતાબહેન દીપકભાઈ વાલ્મિકી કાર્યરત હતા, જેઓને અચાનક છૂટા કરી દેવાતા તેઓના માથે આભ તૂટી પડવા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. આ તમામ સફાઈ કામદારો માત્ર 100 રૂપિયાના વેતનથી કાર્યરત હતા, જે તંત્રને ન ગમ્યું અને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે.
વાલ્મિકી સંઘઠનના આગેવાનોએ છૂટા કરાયેલા કર્મચારીઓની રજૂઆત કરવા માલપુર ડેપો ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓની સાથે અશોભનિય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ અંગે વાલ્મિકી સંઘઠનના આગેવાન લાલજી ભગતે લેખિતમાં જણાવ્યું છે કે, તેઓ ડેપો મેનજરને રજૂઆત કરવા પહોંચ્યા તો ડેપો મેનેજર ગુસ્સે ભરાયા અને ધક્કો મારી હાંકી કઢાયા હતા. છૂટા કરાયેલા વાલ્મિકી સંઘઠનના આગેવાનોને પરત લેવાની માંગ સાથે માલપુર બસ સ્ટેશનમાં ધરણાં યોજવામાં આવ્યા છે. છૂટા કરાયેલા કર્મચારીઓને પરત નહીં લેવાય તો ગાંધી માર્ગ આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.





