ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી આતંકી હુમલાના મેસેજ બાદ રાજ્ય પોલિસ તંત્ર સક્રિય બન્યું છે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત-રાજસ્થાન સીમા એટલે રતનપુર આંતરરાજ્ય સીમા પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગેસ્ટ હાઉસ સહિત મહત્વની જગ્યાઓ પર પોલિસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાનો પણ જિલ્લા પોલિસ વડાએ આદેશ કર્યો છે.
જિલ્લાના વિવિધ જાહેર સ્થળ તેમજ રહેવા માટેની હોટેલ, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળે પોલિસ દ્વારા ચેકિંગ કરીને રજિસ્ટર ચેકિંગ કરવા સહિતના કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલિસ વડાએ પેટ્રોલિંગ વધારવા માટે પણ જરૂરી સૂચનો કર્યા છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સ્પેશલ ઓપરેશન ગૃપ તેમજ એલ.સી.બી સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ શંકાસ્પદ લોકો પર નજર રાખવા પણ જિલ્લા પોલિસ વડાએ આદેશ કર્યા છે.





