પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી યોજનાઓથી દેશવાસીઓ પ્રભાવિત થયા છે અને આવું જ એક અભિયાન એટલે બેટી બચાવો બેટી પઢાવો. આ અભિયાનથી રાજસ્થાન ડુંગરપુર નગરપાલિકાના કોર્પોરેટર પીએમ મોદીથી પ્રભાવિત થયા અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અભિયાન થકી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આ પરિવાર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચતા, મોડાસા નગર પાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો, તબીબો તેમજ શિક્ષણવિદો પહોંચ્યા હતા અને સ્વાગત કર્યું હતું.
યાત્રાનો પ્રારંભ
રાજસ્થાની આ પરિવારે 3 જૂનથી ડુંગરપુરથી નિકળી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે, જે અંબાજીથી શરૂઆત કરી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂઆત કરાવાઈ હતી, બાળકી તેમજ આ પરિવાર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરીને આ અભિયાનને સરાહનીય ગણાવ્યું હતું. આ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પૂર્ણ કરી યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં શહેરના આગેવાનોએ આવકારી હતી.
દીકરી કીમ ભારતીય
બ્રિજેશકુમારની દીકરીનું નામ કીમ ભારતીય છે અને તે જ્યારે દીકરીઓ માટે જે બોલે છે, તેને સાંભળીને રૂવાડા ઉભા થઇ જાય, જાણે મા સરસ્વતી, દુર્ગાના સ્વરૂપે સંદેશ આપતી હોય. સાંભળો..શું કહે છે, દીકરી કીમ ભારતીય
ગુજરાતમાં યાત્રા ક્યાં ફરશે
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં યાત્રા પૂર્ણ કરી, અરવલ્લી જિલ્લામાં ફરી હતી, ત્યારબાદ મહિસાગર જિલ્લામાં પ્રવેશ કરશે. બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ યાત્રા ફરશે જ્યાં બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્રને લોકો સુધી પહોંચાડશે.
રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પૂર્ણ કરી યાત્રા
રાજસ્થાની આ પરિવારે રાજસ્થાનની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં બેટી બચાવો, બેટી પઢાવો યાત્રા પૂર્ણ કરી હતી, જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ યાત્રાની પ્રસંશા કરી હતી. રાજસ્થાનમાં 8 મહિના સુધી આ યાત્રા ફરી હતી, જેને સારો પ્રતિસાદ અને લોકો પ્રભાવિત થતાં યાત્રાને ગુજરાતમાં ભ્રમણ કરવાનો વિચાર કર્યો અને લોકો સુધી દીકરીઓ માટે સારો સંદેશ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
PM મોદીના બેટી બચાવો, બેટી પઢાવો સંકલ્પને સાકાર કરવાનો ઉદ્દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી હતી, જેનાથી પ્રભાવિત થઇ બ્રિજેશ કુમાર અને તેમના પરિવારે આ સંકલ્પના પરિપૂર્ણ કરવા અભિયાનને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો અને રાજસ્થાનમાં 8 મહિના સુધી આ યાત્રા પૂર્ણ કરી ગુજરાતમાં પણ જન-જન સુધી પ્રધાનમંત્રીના સંદેશાને પહોંચાડવા મક્કમ મન બનાવ્યું છે.
ડુંગરપુર નગર પાલિકાના કોર્પોરેટર બ્રિજેશકુમાર તેમજ તેમના પત્નિ અને બે બાળકો સાથે બેટી, બચાવો, બેટી પઢાવો યાત્રા સાથે નિકળ્યા છે, જેઓનું મોડાસા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, બ્રહ્મ સમાજના આગેવાનોએ મોડાસા સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસાર, શહેરના આગેવાનો, તબીબો, શિક્ષણવિદો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને સ્વાગત કર્યું હતું. આ પરિવારની સરાહનિય કામગીરીને લોકોએ બિરદાવી હતી, આ પ્રસંગે દેવલ ત્રિવેદી, ધાર્મિક ભટ્ટ, દક્ષેશ પ્રજાપતિ, સનેત સોલંકી, વંદન રાવલ, જયેશ ભરવાડ, મિત પટેલ, હાર્દિક પંડયા, હેતાર્થ પટેલ, જયેશભાઈ, બ્રિજેશભાઈ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.