વર્ષ 1990માં થયેલ કશ્મીરી પંડિતો સાથે આચરાયેલી બર્બરતાની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ‘ધી કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
ગુજરાત પૂર્વે હરિયાણા તેમજ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આ ફિલ્મને કરમુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આજકાલ સતત ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં જ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી સહિત ‘The Kashmir Files’ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોએ સહન કરેલી તકલીફોને પડદા પર ઉતારી છે.