પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ વર્ષે ગુરુ મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોડાસા માલપુર રોડ બાયપાસ ચોકડી ઉપર ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવીન તૈયાર થયેલા સર્કલનો વ્યાસ 25 ફૂટ તેમજ ઊંચાઈ 15 ફૂટ છે, જેની કલાકૃતિ અદભૂત લાગે છે.
સંતો અને મંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ ને યાદ કરીને જણાવ્યું હતુ કે, આ સર્કલ અને અક્ષર ડેરી ના જે દર્શન કરશે તેમના શુભ સંકલ્પ પુરા થશે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમ થી ઉજવાશે. કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાએ BAPS સ્વામિનારાયણ સંસ્થા ના સેવા કર્યો ની સરાહના કરી હતી અને આ કાર્ય થી રોડ પર ના મુસાફરોની સલામતી વધુ સુધરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંતો એ નવીન આકાર પામેલા સર્કલ અક્ષરડેરી પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્યો ને યાદ કરી તેમની સેવા-ભાવના ના સૂત્રો આ સર્કલ પર અંકિત કર્યા છે. સર્કલમાં જે અક્ષરદેરી છે તેમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સમાધિ સ્થાન – ગોંડલના દર્શન થાય છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા “અક્ષરડેરી એક કલ્પવૃક્ષ છે, સર્વેના સંકલ્પ અહીં પૂર્ણ થાય છે ” આવી પ્રતાપી અક્ષરદેરીના આવતાં-જતાં દરેકને દર્શન થશે અને શાંતિ થશે.
સર્કલના પ્લેટફોર્મ પર ચાર ખૂણે ચાર પ્રતિમાઓ છે, જે દરેકના જીવનમાં કઈંક ને કઈંક સંદેશ સાથે પ્રેરણા આપે છે. મોડાસા શહેર તરફની બે પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંદેશ આપે છે કે એકબીજાની સંભાળ રાખવી અર્થાત સુહૃદભાવ રાખવો, બીજી પ્રતિમા એક બીજા પ્રત્યે દયા અને કરુણા દાખવવી દર્શાવે છે. માલપુર રોડ તરફની બે પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંદેશ આપે છે કે એકબીજાને મદદરૂપ થવું અને બીજી પ્રતિમા સેવા ભાવના દર્શાવે છે.
સર્કલના લોકાર્પણ પૂર્વે શાસ્ત્રોક વિધિ પૂજ્ય મંગલ પુરુષ સ્વામી અને પૂજ્ય નિર્મળએ કરાવી હતી, આ પ્રસંગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના, ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, જસુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ઉપપ્રમુખ રાકેશ મહેતા, ભાજપા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન કનુભાઈ પટેલ,ડોક્ટર ટી.બી.પટેલ, ડો. જે.બી.સોમપુરા, ડોક્ટર જીતુભાઈ પટેલ, તેમજ ડોક્ટર હેમંત પટેલ સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.