અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી, જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જિલ્લામાં દબાણ, માર્ગ વિકાસ, અન્ન પુરવઠા, ભૂગર્ભ ગટરલાઇન, આરોગ્ય, બસ વ્યવસ્થા, શિક્ષણને લગતા પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓ દ્રારા તેમના યોગ્ય જવાબ આપવામાં આવ્યા.
બેઠકમાં જિલ્લામાં યોજાતા સેવાસેતું કાર્યક્રમ, PMJAY કાર્ડ વિતરણ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.
અરવલ્લી જિલ્લામાં કેટલાય સમયથી પીએમ કિસાનના ફોર્મ એક વર્ષથી અટવાઈ પડ્યા છે, ગત ડિસેમ્બર 2021થી કેટલાક ખાતેદારોની અરજીઓ પેન્ડિંગ છે તેમ છતાં હજુ કોઇ જ ઉકેલ આવ્યો નથી તો બીજી બાજુ મોડાસા શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પણ ગોકળ ગતિએ અને કોઇપણ પ્રકારના આયોજન વિના ચાલતા કામને લઇને લોકોમાં રોષ જોવા મળે છે.
જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત જિલ્લા અધિક નિવાસી કલેકટર એન. ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતાં.