વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રણેય રાજકીય પક્ષો પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહી છે. પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ હતો જોકે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે કોને સારૂ ફળ મળે છે તે મતદારો નક્કી કરવાના છે પણ ત્યારથી જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જીતના દાવાઓ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લો એ કોંગ્રેસનો ગઢ કહી શકાય, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્રણેય બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરાક્રમસિંહ જાડેજાએ મોડાસા ખાતેની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, કોંગ્રેસને ઓલ આઉટ કરી ત્રણેય બેઠક પર જીત મેળવશે. તેમણે ઉમેર્યું કે, ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ અને કાર્યકરોનો ઉત્સાહ જોતા લાગે છે કે, આ વખતે ભાજપ મિશન ઓલ આઉટ પર કામ કરશે અને કોંગ્રેસને ત્રણેય વિકેટ લેશે.અરવલ્લી જિલ્લાની ભિલોડા, બાયડ અને મોડાસા બેઠક પર કોંગ્રેસનો કબજો છે વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારથી જ ખેંચતાણ અને ટિકિટને લઇને દોડધામ મચી જવા પામી છે. હાલમાં જ મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે અને સંભવત બાયડ બેઠક પર ચૂંટણી લડી શકે છે ત્યારે બાયડના વર્તમાન ધારાસભ્ય જશુ પટેલને ટિકિટ મળશે કે નહીં તેના પર હવે સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી જશુ પટેલ કાર્યકરો સાથે બેઠકો તેમજ પ્રચાર પ્રસાર અને લોકસંપર્ક કરતા હતા અને ગ્રામ્ય વિસ્તારો સુધી કામ કર્યા છે પરંતુ હવે પેરાશુટ ઉમેદવારને લઇને કોંગ્રસમાં નારાજગીના સૂર ઉઠી શકે તો નવાઈ નહીં.