નેતાઓ નથી સમજતા કે સત્તા માત્ર પાંચ વર્ષની હોય છે આ લોકશાહી છે અને પછી લોકો વચ્ચે જ રહેવાનું છે, પણ આવા નેતાઓ સત્તાની આંધળી આંટીઘૂંટીમાં એટલા પરોવી જાય છે કે કશુય ભાન રહેતું નથી કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ જે કામ કરે છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર. હાલમાં જ અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રએ દિવાળીના તહેવારોમાં હવામાં ફાયરિંગ કર્યું હતું, તે વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં તો તેમના લાડકવાયા પુત્ર વીરભદ્રસિંહ ચૌહાણ (વિક્કી) ફરીથી વિવાદમાં આવ્યા છે. હવે ફાયરિંગ નહીં પરંતુ ગેરકાયદે ખનન કરવાની પ્રવૃત્તિને લઇને.
જિલ્લા પંચાયતના પ્રમુખનો હવામાં ફાયરિંગ વિવાદ વાંચો – અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રને હવામાં ફાયરિંગ કરવું ભારે પડ્યું, પોલિસે ગુનો નોંધ્યો
ભિલોડા તાલુકાના કિશનગઢ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ઈન્દ્રાસી નદી નજીક ગૌચરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહે ચૌહાણ (વિક્કી) ગેરકાયદે ખનન કર્યું હોવાનો પંચાયતની બોડીએ આક્ષેપ કર્યો છે. ગ્રામ પંચાયતના આગેવાનોએ જણાવ્યું કે, તેઓ ગૌચરની મુલાકાતે પહોંચ્યા હતા તે સમય દરમિયાન જાહેર મિલકત એવા ગૌચરમાં ગેરકાયદેસર રીતે ખનની કરવામાં આવ્યું છે. અને આ બધુ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર વીરભદ્રસિંહ ચૌહાણે (વિક્કી) આશરે એક હજાર ટ્રેક્ટર માટીની ગેરકાયદેસર ખનન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, જ્યારે તેઓએ આ કામ અટકાવતા બિભત્સ વર્તન કર્યું હતું, એટલું જ નહીં સત્તાના નશામાં માનનિય પુત્રએ આખીય બોડીને સસ્પેન્ડ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનો કિશનગઢ ગ્રામ પંચાયતની બોડીએ આક્ષેપ કર્યો હતો. માનનીય પુત્રએ આવી ધમકી આપતા કિશનગઢ ગ્રામ પંચાયના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
કિશનગઢ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કોટવાલ હંસાબહેન એ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્રએ ઈન્દ્રાસી નદીના કિનારે ગૌચરની જમીનમાં કોઇપણ પ્રકારની મંજૂરી વિના આશરે 1 હજાર ટ્રેક્ટર માટીનું જેસીબી થી ખોદકામ કર્યું છે. એટલું જ નહીં સત્તાના નશામાં આદિવાસી મહિલા સરપંચને અપશબ્દો બોલવાનો પણ મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો.સત્તાધિશોને સવાલ
ભિલોડા તાલુકાના કિશનગઢ ગ્રામ પંચાયતની હદમાં ચાલતા ગેરકાયેદ ખનની આટલી મોટી ઘટના સામે આવી છે તો અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ શું કરે છે, હજુ સુધી ખાણ ખનીજ વિભાગ નિંદ્રાધિન છે કે શું તે પણ એક સવાલ છે. શું ખાણખનીજ વિભાગ જાણવા છતાં પણ કાર્યવાહી કરવામાં પાછીપાની કરી રહ્યું છે ?
ભિલોડા તંત્ર અજાણ કે ઢોંગ?
ભિલોડા તાલુકાના કિશનગઢ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ખનની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે મહિલા સંરપંચ સહિત પંચાયતની બોડીએ આ કામગીરી અટકાવી તો ભિલોડા મામલતદાર શું કરે છે? કોઇપણ ઘટના સર્જાય પછી પણ સ્થાનિક તંત્ર કેમ જાગતું નથી ? ખનન થાય તો મામલતદાર આવી કામગીરી ન અટકાવી શકે ? જો ગેરકાયદે ખનની હેરાફેરી પર લગામ લગાવી શકતા હોય તો ગેરકાયદે ખનન કેમ ન અટકાવી શકે અથવા તો સ્થળ પર મુલાકાત કરીને જે-તે વિભાગને કેમ જાણ ન કરી શેક તે પણ એક સવાલ છે.સરકાર મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે પણ સ્થાનિક નેતાઓએ આ બાબતનું સમર્થન નથી કરતા અને લીરેલીરા ઉડાવી રહ્યા હોય તેવું લાગે છે એટલું જ નહીં તંત્ર પણ માત્ર તમાશો જોવામાં મસ્ત છે કારણ કે, ગુલાબી છત્રછાયા હરહંમેશ તેમના પર હોય છે તેવી લોકચર્ચાએ જોરપકડ્યું છે. હવે આ બાબતે ભિલોડા વહીવટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.