વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાની ઉત્તર ગુજરાત સહિતની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે હવે દિગ્ગજ નેતાઓની એન્ટ્રી ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર છે તો અરવલ્લી જિલ્લાની માલપુર – બાયડ વિધાનસભા બેઠક માટે યોગી આદિત્યનાથની જાહેર સભા નું આયોજન કરાયું છે.
અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે તખ્તો તૈયાર કરી દીધો છે. પીએમ મોદી, અમિત શાહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રીની સભાઓ થઈ ચુકી છે ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભાનું આયોજન કરાયું છે. બાયડ ખાતે મોડાસા રોડ પર ભાજપે જાહેરસભાનું આયોજન કર્યું છે.બાયડ બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ વાઘેલા, અપક્ષમાંથી ધવલસિંહ ઝાલા અને ભાજપમાંથી ભીખીબહેન પરમાર મેદાને છે ત્યારે હવે ભાજપે અરવલ્લી જિલ્લાની તમામ બેઠકો કબજે કરવા માટે રણનીતિ તૈયાર કરી છે.
ચૂંટણી નજીક આવી રહી છે જોકે હજુ સુધી કોંગ્રેસને એકપણ મોટી જાહેરસભા યોજાઈ નથી જેને લઇને ક્યાક એવું લાગે છે કે, કોંગ્રેસ પાર્ટી હવે ચૂંટણી મેદાને જ નથી. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે ક્યાંક બેકફૂટ પર હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે, જોકે મોડ મોડે પ્રદેશ પ્રમુખની એક જાહેરસભા કોંગ્રેસ પાર્ટીએ આયોજન કર્યું છે.