29 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ચૂંટણી તંત્ર જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું


વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
મતદાર પાસે ઈલેકશન કાર્ડ ન હોય પણ મતદાર યાદીમાં નામ હોય તો અન્ય પૂરાવા રજૂ કરી મતદાન કરી શકશેઃ જિલ્લા ચૂંટણી અધિકારી
મતદારોની સુવિધા માટે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

Advertisement

અરવલ્લી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 પૂર્ણ પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાના અધ્યક્ષ સ્થાને મોડાસા સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારોને અપીલ કરતા જણાવ્યું કે, જે મતદારો પાસે ઈલેકશન આઈડી ન હોય પણ મતદાર યાદીમાં તેમનું નામ હોય તો તેઓ અન્ય 14 પૂરાવા પૈકી કોઈપણ એક પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે.જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાં તા. ૫ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે તો તેની તમામ તૈયારી ચૂંટણી તંત્ર દ્વારા આટોપી દેવામાં આવી છે. ૧૦૬૨ મતદાન મથકો પર કુલ ૮,૩૦,૫૪૭ મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા પ્રશાસન સજ્જ છે. જિલ્લામાં ૧૮-૨૯ વર્ષના કુલ ૨,૧૨,૨૦૪ યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ૨૦૦ શતાયુ અને ૫૪૦૭ દિવ્યાંગ પણ મતદાન કરશે. જિલ્લામાં સમાવિષ્ટ તમામ ૩ વિધાનસભા મતવિભાગમાં ૨૧ મતદાન મથકો મહિલા અધિકારી અને કર્મચારીઓ સંચાલિત છે જેના પર પોલીસ બંદોબસ્ત પણ મહિલા પોલીસનો જ હશે. આ ઉપરાંત જિલ્લામાં દિવ્યાંગ સંચાલિત કુલ ૩ દિવ્યાંગ મતદાન મથકો, યુવા મતદાન સ્ટાફ દ્વારા સંચાલિત ૧ યુવા મતદાન મથક, ૩ મોડેલ મતદાન મથક અને ૩ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવેલ છે.વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ સી-વિજીલ એપ (આદર્શ આચારસંહિતા સંબંધે ફરિયાદ માટે), સુવિધા પોર્ટલ (રાજકીય પક્ષો અને ઉમેદવારોની સુવિધા માટે/ ઓનલાઈન ઉમેદવારી ફોર્મ, એફિડેવીટ અને સભા સરઘસની મંજુરી માટે), પીડબલ્યુડી મતદાન મથક(દિવ્યાંગ મતદારો માટે), મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ ચકાસવા, નામ ઉમેરવા, નામ કમી કરવા કે સુધારો કરવા માટે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (એનવીએસપી)ની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સ્વીપ એક્ટિવિટી, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, આદર્શ મતદાન મથક અને અલગ અલગ સ્કવોડ વિશેની માહિતી પુરી પાડી હતી.જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી આચાર સંહિતા મોનટરીંગ માટે જિલ્લાના પ્રવેશ માર્ગ પર ચેક પોસ્ટ કાર્યરત કરી છે. જેના પર ફ્લાઈંગ સ્કવોડની ૧૦ ટીમ, સ્ટેટીક સર્વેલન્સની ટીમ અને વીડિયો સર્વેલન્સ સહિતની અન્ય ટીમ તૈનાત રહેશે. જે દારૂ તેમજ રોકડની હેરફેર ઉપર વોચ રાખશે. જરૂરિયાત જણાય ત્યાં પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે.જિલ્લા વિકાસ અધિકારી અને ચુંટણી ખર્ચ મોડેલ ઓફિસરે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ કે ઉમેદવાર રૂ. 50 હજારથી વધુ રોકડ રકમ સાથે લઈ જતા હશે તો તે સીઝ કરવામાં આવશે. સ્ટાર કેમ્પેઈનર પાસે રૂ. 1 લાખથી વધુ રોકડ રકમ હશે તો સીઝ કરાશે અને કોઈ પણ સ્થળે રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો ઈન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરશે. જે વ્યકિત પાસે રૂ.50 હજારથી વધુની રકમ મળશે તો તે વ્યકિત આધાર-પુરાવા સાથે વેલીડ કારણ રજૂ કરશે તો 24 કલાકમાં નાણાં પરત કરવામાં આવશે.

Advertisement

વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, ૨૭૮ સંવેદનશીલ મતદાન મથકો સહિત કુલ ૫૩૫ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જ્યાં કનેક્ટીવિટી ન હશે ત્યાં વીડિયો શુટીંગ કરાશે. કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ ગુપ્ત રાખીને આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ કરી શકશે. જેનો 100 કલાકમાં ઉકેલ લાવવાનો રહેશે.

Advertisement

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ,નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવલીયા,જિલ્લા માહિતી ખાતાની ટીમ તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!