અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. અરવલ્લી જિલ્લામાં ત્રણ દાયકાથી કોંગ્રેસનો કબજો છે, ત્યારે ભાજપ કોઈપણ ભોગે આ ત્રણેય બેઠક પૈકી ગમે તે એક અથવા બે બેઠક પર જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, આસામ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સ્મૃતિ ઇરાની પણ ચૂંટણી રેલીમાં જંપલાવવાના છે ત્યારે આમ આદમી પાર્ટી પણ હવે જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે.
મોડાસા વિધાનસભા બેઠક પર આપના આગેવાનો ડોર ટૂ ડોર પ્રચારમાં લાગી ગયા છે અને લોકો સુધી ગેરંટી કાર્ડ પહોંચાડી કેજરીવાલ સરકારની કામગીરીથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા વચનોને લોકો સુધી પહોંચાડવાની કામગીરીમાં લાગી ગયા છે.
મોડાસા વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ છે ત્યારે ત્રણેય પાર્ટીઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ વખતે જે વ્યક્તિનો સ્વાભાવ સારો હશે તે ઉમેદવારને પસંદ કરશે. ત્યારે જોવું રહ્યું કે, કયો ઉમેદવાર મતદારોની વિશ્વાસ જીતશે.

