અરવલ્લી જિલ્લામાં કામ કરતું વિભાગ એટલે માર્ગ અને મકાન વિભાગ. ટ્રાયબલ વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયા વિકાસ માટે ખર્ચી નાખે છે પણ એવા નંબર વન અધિકારીઓની ટીમ છે કે બસ કોઈ જ વાંધો આવતો નથી એટલે હાલાકીઓ લોકોને પડી રહી છે. સરકાર આંખો બંધ કરીને કરોડો રૂપિયા રોડ બનાવવા અને તેની મરમ્મત માટે આપે છે પણ આવા અધિકારીઓના આશીર્વાદથી રોડ રસ્તાઓ સમયમર્યાદામાં પૂર્ણ થઈ જાય છે તે અધિકારીઓને ખ્યાલ પણ આવતો નથી.
દેશના નહીં પરંતુ વિશ્વના નંબર 1 અધિકારીઓ એટલે ભિલોડા માર્ગ અને મકાન વિભાગની ટીમ
વાત જાણે એમ છે કે, ભિલોડા પંચાયત RNB વિભાગ એટલું વ્યસ્ત છે કે, રોડ ક્યારે બની જાય છે અને ક્યારે પૂરો થઈ જાય છે તેને ખ્યાલ જ નથી કારણ કે, આ વિભાગના મલાઈદાર અધિકારીઓ ન જાણે શેમાં મશગૂલ હોય છે તે ખ્યાલ નથી. ભિલોડા તાલુકાના રામપુરી, સાગદરા 3.700 કિ.મી. નો રોડ કુલ 140 લાખ એટલે કે, 1 કરોડ 40 લાખના ખર્ચે બનવાનો હતો, જે કામ તારીખ 12-05-2021 ના રોજ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને કામગીરી પૂર્ણ કરવાની તારીખ 11-02-2022 ના રોજ હતી, પણ હજુ કામ શરૂ થયું છે કે નહીં તે એક સવાલ છે. કારણ કે, રોડ પર માત્ર મેટલ ઠાલવી લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે.
એક વર્ષ પછી પણ દોઢ કરોડ નો રોડ જેમ ને તેમ હોય તો સવાલ તો ઉઠવાના, કંઈક તો રાધવાની ફિરાકમાં હતા કે શું ?
કરોડો રૂપિયાનો રોડ બારોબાર થઈ ગયો હોય તેવું લાગે છે અને સરકારના કરોડો રૂપિયાનો વ્યય કરીને ચાઉં કરી દેવામાં આવ્યા હોવાની પણ બૂમો ઉઠવા પામી છે. જો રોડ નું કામ સમયસર શરૂ થયો હોય તો સમયસર પૂર્ણ કેમ નથી થયું ? શું અધિકારીઓની મિલીભગતથી આ કામ હજુ ત્યાં નુ ત્યા છે કે શું ? કદાચ અધિકારીઓને એમ હશે કે કોઈ ન આવે તો આ રોડ નહીં બનાવીએ તો ચાલશે. કારણ કે, આ વિસ્તારમાં કોઈ આવતું નથી એટલે હોંશિયાર અધિકારીઓએ આવી રમત રમી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
અધિકારીઓ ઓફિસમાં મળતા નથી, ને કહે છે સાઈટ પર છીએ, હજુ સમજાતું નથી RNB ના અધિકારીઓની સાઈટ છે ક્યાં ?
રોડની કામગીરીની ડેડ લાઈન પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધી સાઈડ સુપરવાઈઝર, ડીઈ અથવા તો જિલ્લાના ઈજનેરને ખ્યાલ કેમ ન આવ્યો તે એક સવાલ છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા અધિકારીઓએ માર્ગ અને મકાન વિભાગમાં દૂર દૂરથી અરવલ્લી જિલ્લામાં આવવાનું વધુ પસંદ કરતા હોવાની પણ બૂમો હવે પડી રહી છે. કારણ કે, આવા રોડ બારોબાર ગાયબ જ થઈ જાય છે. ભિલોડા પંચાયત RNB વિભાગની આવી શ્રેષ્ઠ કામગીરીથી ભ્રષ્ટાચારની બૂમો સંભળાઈ રહી હોય તેવું લાગે છે. આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે.