શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ બાગાયતી પાકોની સહાય થકી ૧૫ વીઘા જમીનમાં ત્રણ હજાર દાડમના રોપાનું વાવેતર કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત,
શહેરા,
મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ કે જેઓએ પોતાના ૧૫ વીઘા જમીનમાં વર્ષ ૨૦૨૦માં બાગાયતી ખાતાની સહાય અને માર્ગદર્શન થકી ૩૦૦૦ છોડવાનું દાડમનું વાવેતર કરીને ખેતીમાં સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉન્નતીની કેડી કંડારી છે.આ સાથે તેઓ પંચમહાલ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચાલુ વર્ષ ૨૦૨૩મા તેમના ખેતરમાં દાડમનો પાક ઝૂમી રહ્યો છે. હિતેશભાઈ જણાવે છે કે વર્ષો પહેલા તેમણે બનાસકાંઠા જિલ્લા ખાતે દાડમની આધુનિક ખેતી જોઈને પોતે મનમાં નક્કી કર્યું હતું કે મારે પણ આ પદ્ધતિથી મારા ખેતરમાં દાડમની ખેતી કરવી છે.આ માટે તેમણે જિલ્લા બાગાયત વિભાગનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવીને તે દિશામાં નક્કર યોજના બનાવી,કામગીરી હાથ ધરી હતી.તેના પછી તેઓએ વર્ષ ૨૦૨૦માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ૩૦૦૦ ભગવાસિંદુરી જાતના દાડમના રોપા લઈ આવીને પોતાના ૧૫ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું.
તેઓ જણાવે છે કે આ વાવેતર પાછળ તેમને અંદાજીત ૪ લાખનો ખર્ચ થયો હતો, જેમાં જિલ્લા બાગાયત વિભાગના સહયોગથી સરકારની ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો સહાય યોજના હેઠળ ૫૫ ટકા સહાય અંતર્ગત ૭૦ હજાર રૂપિયાની સહાય મેળવી હતી.આ સાથે તેમણે ટ્રેક્ટર ઓપરેટ દવા છાંટવાના પંપમાં પણ રૂ.૫૦ હજારની સહાય મેળવી હતી. તેઓ જણાવે છે કે તેમના ખેતરમાંથી ચાલુ વર્ષે અંદાજીત ૧૦ ટન જેટલું દાડમનું ઉત્પાદન મળશે, જેમાં તેઓ ચાર લાખના ખર્ચ સામે અંદાજીત રૂ.૨૦ લાખની આવક મેળવશે.તેઓ કહે છે કે તેમના ખેતરમાં દાડમના ૧ છોડ પર ૧૫ થી ૨૦ કિલો દાડમનું ઉત્પાદન મળશે તેવી આશા છે.અત્યારે તેમના ૧૫ વિઘા જમીન પર દાડમનો પાક લહેરાય રહ્યો છે.વધુમા તેમણે બાગાયત અધિકારીશ્રી ચંદનભાઈ પટેલીયાના માર્ગદર્શન હેઠળ દાડમના વાવેતર પછી આંતરપાક તરીકે કપાસ અને તમાકુનું વાવેતર કરીને પણ ઉત્પાદન મેળવ્યું હતું.જેમાં ૧૫૦ મણ તમાકુ તથા ૨૦૦ મણ કપાસનું ઉત્પાદન મેળવીને આર્થિક ઉપાર્જન કર્યુ હતું.
તેઓ આ દાડમની વૈજ્ઞાનિક પધ્ધતીથી કરેલ ખેતીમાં યોગ્ય માવજતમાં છાણીયું ખાતર,ઉધઇ માટેની ટ્રીટમેન્ટ અને લીક્વીડ સ્વરૂપે રાસાયણીક ખાતર ટપક પધ્ધતિ દ્વારા આપે છે, તેમજ સિંચાઈ પણ ટપક પધ્ધતીથી દ્વારા અપાય છે.તેમણે દાડમના છોડનું કટિંગ ત્રણ થી ચાર વખત કર્યુ છે.મારી આ દાડમની ખેતી જોવા આસપાસ ગામોના ખેડૂતો મુલાકાત લઇ તેઓ પણ આ બાગાયતી ખેતી અપનાવવા પ્રેરાયા છે.આમ રાજ્યસરકાર દ્વારા રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે વિવિધ બાગાયતી પાકોની સહાય અને સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.જેના ફળ સ્વરૂપે ખેડુતો બાગાયતી ખેતી તરફ વળીને આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.
– સરકાર દ્વારા ખેડુતોને મળી રહી છે,જેનો લાભ ખેડુતો લઈ રહ્યા છે.
–
પંચમહાલ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીના જણાવ્યા અનુસાર ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો માટે સહાય યોજના અંતર્ગત ખર્ચના ૪૦ ટકા મહત્તમ રૂ.૪૦૦૦૦/- પ્રતિ હેકટર જેમાં રાજ્ય સરકારશ્રીની વધારાની ૧૫ ટકા પુરક સહાય મળીને કુલ એક હેક્ટર માટે ૫૫ ટકા સહાય મળવાપાત્ર થાય છે.જે ત્રણ હફ્તા ૬૦:૨૦:૨૦મા પાકવાર નક્કી કરેલ ખર્ચની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.આ સહાય ફક્ત વાવેતર માટે જ આપવામાં આવે છે.