શક્તિપીઠ અંબાજી મંદિરમાં છેલ્લા એક સપ્તાહથી મોહનથાળ ના પ્રસાદનો વિવાદ ચાલતો હતો, જેનો આખરે અંત આવ્યો છે. સરકારના મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં આખરે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે, પણ હજુ તે સવાલનો જવાબ નથી મળ્યો કે, આ નિર્ણય કોણે અને કેમ લીધો હતો. અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘી, ઋષિકેશ પટેલ, અંબાજી મંદિરના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં પ્રસાદ ચાલુ રાખવો કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. જે બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો તેને નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે. અંબાજી મંદિરના ભટ્ટજીની સરકાર સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે.
સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી જગદીશ ઠાકોરે લખ્યું કે, આ “ભક્તોની આસ્થાનો ભવ્ય વિજય” સર્વે ગુજરાતીઓ અને માં અંબાના સૌ ભક્તોની પ્રાર્થના અને લડતના પરિણામે માં અંબાના પ્રસાદ મોહન થાળ પર લગાવેલ પ્રતિબંધ સરકરને પરત લેવો પડ્યો
આ લડાઈ રાજકીય નતી પરંતુ આસ્થાની હતી, જેમાં આખરે ભક્તોની જીત થઇ. તાનાશાહી સરકાર સામે લડશો તો જીતશો.
આ સાથે જ જગદીશ ઠાકોરે મધ્યાહન ભોજનને લઇને સવાલો ઉઠાવ્યા હતા, તેમણે લખ્યું કે, માં અંબા ના પ્રસાદની ગુણવત્તા સામે સવાલ કરનારી સરકારને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા સડેલા અનાજ ની ચિંતા કરવાની જરૂરી છે.