અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઇને ખેડૂતોના ઊભા પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શુક્રવાર મોડી સાંજથી માવઠુ થતાં અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને થયેલા નુકસાનને લઇને હવે ખેડૂતોની વેદના ચરમસીમાએ પહોંચી ગઈ છે અને એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને હવે ગ્રાઉન્ડ પર પહોંચવા ખેડૂતો આહ્વાહન કરી રહ્યા છે. ખેડૂતોએ સારા પાકની આશા સાથે ઘઉંનુ વાવેતર કર્યું હતું, ઘઉં તૈયાર પણ થઈ ગયા હતા અને કાપણી કરવાની તૈયારી હતી, જોકે માવઠાએ ખેડૂતોની મુસીબત વધારી દેતા હવે ખેડૂતો સવાલે તે લોકોને કરી રહ્યા છે કે, જેઓને જીવવા માટે અનાજની જરૂર છે.
હ્રદય દ્રવી ઉઠે તેવા શબ્દ બાણથી ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. મોડાસા તાલુકાના વણિયાદ-કોકાપુર પંથકમાં ખેડૂતોએ મુખ્યમંત્રીને પણ સવાલો કર્યા છે કે, અધિકારીઓ ક્યારે મુલાકાતે આવશે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ન આવી શકે તો તેમના કર્મચારીઓને મુલાકાતે મોકલે અને સર્વે કરાવે. ખેડૂતોએ એમપણ જણાવ્યું કે, ખેડૂતો તો ઠીક શહેરોમાં રહેતા લોકો શું ખાશે ? એટલું જ નહીં મંત્રીઓ પણ શું ખાસે તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા હતા. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો વ્યતિત થયા છે. એ.સી. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને સવાલો કરતા ખેડૂતોએ કહ્યું કે, હવે બધુ વિનાશ થવાને આરે આવી ગયું છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મોડાસા તાલુકાના વણિયાદ સહિતના વિસ્તારોમાં અંદાજે 70 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જોકે માવઠાને કારણે તેઓનો પાક બગડી ગયો છે.
સમાચારોની કોપી કરવી નહીં…
Advertisement
અત્રે ઉલ્લેખનિય છે કે, શુક્રવાર મોડી સાંજથી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે, જેની અસર સતત બીજા દિવસે શનિવારે પણ જોવા મળ્યું હતું. માવઠા સાથે કરા પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતો ખૂબ જ વ્યતિત થયા છે અને સર્વે કરાવવાની પણ માંગ કરી છે.