અરવલ્લી જિલ્લો એ આરોગ્ય નગરી તરીકે જાણીતો છે, અહીં રાજસ્થાન તેમજ આસપાસના જિલ્લાઓમાંથી દર્દીઓ આવતા હોય છે આ સાથે જ મોટી સંખ્યામાં શ્રમિકો કામ અર્થે મોડાસા આવે છે ત્યારે આવા દર્દીઓ અને શ્રમિકોની ચિંતા કરીને મોડાસાની એકમાત્ર ભોજન પીરસતી સંસ્થા એટલે અન્નપૂર્ણા ટ્રસ્ટ. મોડાસાના માલપુર રોડ પર આવેલ અન્નપૂર્ણા ટ્રસ્ટ ના 31 વર્ષ પૂર્ણ થતાં વાર્ષિકોત્સવ મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ઉજવાયો હતો, જેમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કટાર લેખક અને પદ્મ શ્રી કુમારપાળ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહીને અન્નપૂર્ણા ટ્રસ્ટની કામગીરીની પ્રસંશા કરી હતી.

છેલ્લા ત્રીસ વર્ષથી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા મોડાસા શહેરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ માટે ટિફિન સેવા 2 રૂપિયાના નજીવા દરે પુરૂ પાડે છે, નહીં નફો, પણ નુકસાન ભોગવીને લોકસેવાનું ભગીરથ કાર્ય અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના 31 વર્ષ પૂર્ણ થતાં વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા ટ્રસ્ટમાં સેવા આવતા કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા, આ કર્મચારીઓ કોઈપણ રજા પાડ્યા વિના લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે તમામ કર્મચારીઓની સેવાને બિરદાવવામાં આવી હતી.
મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો, સામાજિક સંસ્થાના આગેવાનો, મોડાસ નગરપાલિકાના કોર્પોરેટર્સ તેમજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભિખુસિંહ પરમારે દર્દીઓ માટે તૈયાર થતું ટિફિન જાતે ભર્યું
રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર અન્નપૂર્ણા ટ્રસ્ટના વર્ષિકોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે અન્નપૂર્ણા ટ્રસ્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે રસોઈઘર પહોંચ્યા હતા જ્યાં દર્દીઓ માટે બનાવવામાં આવતી રસોઈનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે દર્દીઓ માટે ભરવામાં આવતું ટિફિન જાતે ભરી સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું, તેમની સાથે અન્નપૂર્ણા ટ્રસ્ટના આગેવાનો, ટ્રસ્ટીઓ તેમજ પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
