અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા લાલપુર કંપા ખાતે મહેશ્વરી ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાને વચ્ચે માનવતા મહેકી હતી. આસપસાના વિસ્તારોમાં રહેતા ખેડૂત પરિવારોએ આવી ઘટનામાં ફાયર વિભાગની મોટી મદદ કરી હતી, મોડાસા સુધી ફાયર ટેન્ડરને પાણી ભરવા માટે જવું ન પડે તે માટે આસપાસના કુવાઓમાંથી પાણી ભરી આપવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી.
લાલપુરકંપા ખાતે ફટાકડા ફેક્ટરમાં આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી, આગ એટલી ભીષણ હતી કે, ફાયર વિભાગ દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરાયો હતો. આગની ઘટના વચ્ચે ખેડૂતોએ માનવતા મહેકાવી અને ફાયર વિભાગની ટીમ સાથે ભારે જહેમત ઉઠાવી હતી. આસપાસના ખેડૂતોએ તાત્કાલિક આગ પર કાબૂ આવે તે માટે તમામ ખેડૂતોએ તેમના ખેતરમાંથી ફાયર વિભાગની ગાડીઓમાં પાણી ભરવા માટેની વ્યવસ્થા ઊભી કરી હતી, જેથી મોડાસા સુધી પાણી ભરવા માટે ન જવું પડે.
ભીષણ આગની ઘટનાને લઇને મેજર ફાયર કોલ જાહેર કરાતા એકસાથે બાર જેટલી ગાડીઓ આવી પહોંચી હતી, ત્યારે આવી સ્થિતિમાં ફાયર વિભાગને પાણી ભરવા માટે દૂર સુધી અને વધુ સમયનો વ્યય ન કરવો પડે તે માટે આસપાસના મહાદેવપુરા કંપા, ભવાનીપુરાકંપા તેમજ સબલપુર કંપા સહિતના વિસ્તારમાં ખેડૂતોએ તેમના કુવામાંથી પાણી ભરવાની વ્યવસ્થા કરી હતી. આ સાથે જ સબલપુર ગ્રામય પંચાયતના સરપંચ સહિતના હોદ્દેદારો તેમજ પંચાયતની ટીમ પણ ખડેપગે રહીને પાણી ભરી આપવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી. આ સાથે જ તમામ ફાયર અને આગ બુઝાવવાની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ મોડી મોડાસા ઉમિયા મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રે ભોજનની વ્યવસ્થા કરી હતી અન્ય વ્યવસ્થાઓ પણ મોડી રાત્રે પુરી પાડી હતી. ભોજન વ્યવસ્થામાં મોડાસા ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ માર્ગદર્શન હેઠળ, ઉપપ્રમુખ અંબાલાલ પટેલ, ભવાનીપુરા કંપા, તેમજ આસપાસના તમામ કંપા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અને સ્થાનિક આગેવાનો ખડેપગે રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.





