અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક લાલપુર કંપા ખાતે આવેલા મહેશ્વરી ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગે અનેક સવાલો છોડ્યા છે. આગ એવી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાતી અને ફટાકડાનો અવાજ લોકોના કાને ગૂંજતો રહ્યો. ગુરૂવાર 20 એપ્રિલ 2023 ના બપોરનો તે સમય કદાચ જ કોઈ ભૂલી શકે. જે લોકોએ નજીકથી મોત ને જોયું છે તે આજે પણ ચોંકી ગયા છે.
મહેશ્વરી ફટાકડા ગોડાઉનમાં 4 લોકો એ જિંદગી ગુમાવી છે પણ મેરા ગુજરાતની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ કર્યું તો ત્યાંથી કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે, જ્યાં ત્રીસ થી વધારે લોકો કામ કરતા હોઈ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી કે, ઘણાં લોકો અહીં અવર-જવર કરતા હતા, આ વચ્ચે આગની ઘટનામાં 14 ટૂ વ્હીલર, 1 સાઈકલ, 3 કાર, 3 આઈસર, 2 પીક અપ ડાલાનો સમાવેશ થાય છે.
આટલા વાહનો આગની ચપેટમાં આવી ગયા છે ત્યારે એક એવી વિગત સામે આવી છે કે, અહીં કામ કરતા 10 થી વધારે લોકોએ પોતાના જીવ વૃક્ષના સહારે બચાવ્યા છે. ગોડાઉનના પાછળનો ભાગ શ્રમિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે. જ્યારે આગ લાગવાની જાણ થઈ હશે ત્યારે તમામ શ્રમિકોએ પોતાના જીવ બચાવવા ગોડાઉનના પાછળના ભાગે દોટ મુકી હશે અને ત્યાંથી ઝડ પર ચઢી અંદાજે દસ ફૂટ ઊંચી બાઉન્ડ્રી વોલ કુદીને દસ ફૂટ ઊંચી દિવાલ પરથી નીચે કુુદકો માર્યો હોઈ શકે છે. જે જગ્યા પરથી કેટલાક શ્રમિકોના ચપ્પલ અને દુપટ્ટા સહિતની ચીજવસ્તીઓ જોવા મળી છે ત્યાં ઝાડ પર દોરી બાંધેલી હતી, તે એક ઝાડ પર લાકડાના પાટિયાનો ટેકો હતો, જેના પર ચઢીને કેટલાક લોકોએ ગાઉનની બીજી બાજુ કુદકો માર્યો હશે. આ જગ્યા પર 10 થી 15 જેટલા ચપ્પલ જોવા મળ્યા હતા, એટલે કે, આ તમામ લોકોએ ગોડાઉનના પાછલના ભાગેથી પોતાનો જીવ બચાવવા ભારે જહેમત ઉઠાવી હતી, અને તેઓ સફળ પણ થયા હોય તેવું લાગે છે.
પોલિસ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા હજુ ગોડાઉનની દિવાલો તોડી અંદર કોઈ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, જેમ જેમ ફાયર વિભાગની ટીમ દ્વારા દિવાલો તોડવામાં આવી રહી છે તેમ તેમ નીચે દટાયેલા ફટાકડાનો જથ્થો ફૂટવા લાગે છે, જેથી ફાયર વિભાગની ટીમને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે મુશ્કેલીઓ વચ્ચે પણ પોલિસ, મોડાસા નગર પાલિકા, પાલિકાની ફાયર વિભાગની ટીમ ખડેપગે રહીને કાટમાળને હટાવવાની તજવીજ શરૂ કરી છે, પણ હજુ કહેવું મુશ્કેલ છે કે, કોઈ મોટી જાનહાનિ થઈ છે કે નહીં. હાલ તો પ્રાથમિક તપાસ અને સાફ-સફાઈની તજવીજ પૂરજોશમાં શરૂ છે.
ચોમાસાનો સમય આવે એટલે વૃક્ષો વાવતા હોઈએ છીએ, બાળપણમમાં પુસ્તકોમાં નિબંધ વાંચતા કે વૃક્ષો આપણાં મિત્રો છે, જે આ ઘટના પરથી આપણે એમ કહી શકીએ કે, મિત્ર નહીં પણ નવજીવન બક્ષનાર પણ વૃક્ષો જ છે. કારણ કે, વૃક્ષો વાવ્યા પછી તેનું જતન કરવું પણ જરૂરી છે. આજે આ વૃક્ષોને કારણે કેટલાય લોકો તેના સહારે 10 ફૂટ ઊંચી દિવાલ કુદી જીવ બચાવવામાં સફળ થયા છે.
વાંચતા રહો મેરા ગુજરાત….