સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીની અસર જોવા મળી રહી છે. રવિવારના દિવસે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ ધીરે-ધીરે વરસાદી માહોલ જામ્યો હતો. બે થી ત્રણ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં માવઠું થતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ તો રીતસરની બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે તારાજી સર્જી હોવાની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકા ના મઠ ગામની સીમના ખેતરમાં ચારો ચારતા 16 જેટલા બકરા ઉપર વીજળી પડતા દાઝી જવાથી બકરાઓ ના મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાને લઇને પશુ પાલકો ઉપર જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પશુપાલકના એકસાથે 16 પશુના મોતને લઇને તેમના પર આફત આવી પડી હતી.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં આવી જ સ્થિતિ જોવા મળી હતી, ક્યાંક વીજળી પડવાથી પશુઓના મોત તો કેટલીક જગ્યાએ મકાન પર વીજળી પડવાથી વીજ ઉપકરણો બળી ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.