પૂર્વ આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા કોરોના સંક્રમણ સામે જંગ હારી જતા નિધન થતા ભિલોડા વિધાનસભા બેઠક ખાલી પડી છે. 5 ટર્મથી ડો.અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. 25 વર્ષથી ભાજપ આ બેઠક જીતી શકી નથી ત્યારે ભિલોડા વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમના પુત્ર કેવલ જોષીયારા સાથે સંપર્ક કરવા પ્રયત્નો થઇ રહ્યા હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. તેમના બેસણામાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને ભાજપના સ્થાનિક નેતાઓ પણ પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાના વતન ચુનાખાણ પહોંચી તેમને પુષ્પાંજલિ અર્પી હતી જેને જીલ્લાના રાજકીય વિશ્લેષકો અલગ અલગ તારણ કાઢી રહ્યા છે.

સ્વ. ધારસભ્ય ડો.અનીલ જોશીયારાના પુત્ર કેવલ જોષીયારાનો ભાજપના અગ્રણીઓ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે મેરા ગુજરાતે કેવલ જોષીયારા સાથે ટેલિફોનીક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, હજુ મારા પિતાને 14 દિવસ જ થયા છે અને રાજકારણમા પ્રવેશ અંગે કઈ વિચાર્યુ નથી. પરિવારના વડિલો અને સદસ્યો કહેશે તે પ્રમાણે આગળ વધીશ ભાજપના લોકોના તેમજ અન્ય લોકોના શોકાંજલિ માટે ટેલિફોન આવતા હોય છે, પણ મારો હજુ સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી.





