અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા, લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત ઘણાં દૂર છે, જેને લઇને લોકો તંત્રના કાન ખોલવા, પદયાત્રાનો દોર શરૂ થયો છે… ભિલોડા તાલુકાના વાંદિયલ થી ભિલોડા તાલુકા પંચાયત સુધી ગ્રામજનોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં આવેદન પત્રો આપ્યા હતા, જોકે કોઈ જ નિરાકરણ નહીં આવતા, ગાંધી માર્ગે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. ગામમાં ડામર રોડ, ગરનાળા બનાવવા, તૂટી ગયેલા ચેક ડેમનું સમારકામ, આંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની માંગ કરવામાં આવી રહી છે… આ સાથ જ જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી, આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દિનદયાળ યોજનાનો લાભ નહીં આપવામાં આવવાના આક્ષેપો સાથે, મોટી સંખ્યામાં ગ્રામજનોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે.
એકબાજુ નેતાઓ તાલુકાની માંગણી કરી રહ્યા છે, તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિકાસ ન પહોંચ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારોની મુલાકાત કેમ લેતા નથી તે પણ એક મોટો સવાલ છે. અધિકારીઓએ પણ એકાદ ડોકિયું ગામમાં કરવું જોઈએ. એટલું જ નહીં રાત્રી મુકામ જેવા કાર્યક્રમો પણ અહીં થાય તો લોકોની સાચી સમસ્યાઓ જાણી શકાય એમ છે. હાલ તો પદયાત્રાની શરૂઆત વચ્ચે, તંત્ર ગામની રજૂઆતોને ધ્યાને લેશે કે, પછી, આવેદન પત્રો દફ્તરે થશે, તે સવાલ છે.