માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દંડવત યાત્રામાં કેમ ન પહોંચ્યા ?
કેમ હજુ સુધી લાલજી ભગતની મુલાકાત નથી કરી તેવી ચર્ચાઓ ચાલી
જનપ્રતિનિધિએ આમ કરશે તો કેમ ચાલશે?
જનપ્રતિનિધિ ચૂંટણી જીતે કે હારે પ્રથમ પ્રતિક્રિયા મતદારોનો આભાર માનવાથી થાય છે, પણ….
કોના કહેવાથી તેઓ નથી પહોંચતા?
ગુજરાતના સફાઈકામદારોના પડતર પ્રશ્નોને લઇને અરવલ્લી જિલ્લામાંથી એક દંડવત યાત્રા દિલ્હી સુધી શરૂ થઈ છે. ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે 1 જાન્યુઆરી 2025 થી આ યાત્રાનો માલપુર થી પ્રારંભ કર્યો હતો. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ગામના આગેવાનો, તેમના સમર્થકો તેમજ મોટી સંખ્યામાં સફાઈકામદારો ઉમટ્યા હતા, જોકે હજુ સુધી એવા કેટલાય નેતાઓ છે જે તેમની મુલાકાત તો તેમની સામુ જોવા પણ તૈયાર નથી. આવું કેમ થઈ રહ્યું છે, તે લોકોમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.
ગુજરાત વાલ્મિકી સંઘઠનના પ્રમુખ લાલજી ભગતે યાત્રા શરૂ કરતા, માલપુર-બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, કોંગ્રેસના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઠવી તેમજ વિવિધ સંગઠનોએ નોંધ લીધી છે, જોકે માલપુર-બાયડના વર્તમાન ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હજુ દેખાતા નહીં, અનેક ચર્ચાઓ ચાલી રહી છે. લોકો કહી રહ્યા છે કે, લાલજી ભગતે વર્ષ 2015માં જિલ્લા પંચાયત ખાતે યોજેલા ધરણાં પ્રદર્શનમાં ધવલસિંહ ઝાલાએ સમર્થન કર્યું હતું. વર્ષ 2018માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિ નિમિત્તે ધવલસિંહ ઝાલાનું લાલજી ભગતે સન્માન કર્યું હતું. કેટલાય કાર્યક્રમોમાં લાલજી ભગત ધવલસિંહ ઝાલા સાથે અને ધવલસિંહ લાલજી ભગતના સાથે જોવા મળતા હતા, જોકે લાલજી ભગતે સફાઈકામદારોના હિતમાં શરૂ કરેલી યાત્રામાં હજુ જનપ્રતિનિધિ એવા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નહીં પહોંચતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ધારાસભ્ય એ કોઈ નેતા નથી પણ જનપ્રતિનિધી છે, જે તેમના વિસ્તારના લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડે છે નહીં કે, તેમના મતદાતાઓને પારકા ગણવા. ચૂંટણી સમયે ભલે કોઈ અબોલા થયા હોય, પણ જ્યારે કોઈ નેતા જીતી જાય છે, ત્યારે પ્રથમ પ્રતિક્રિયા મતદાતાઓનો આભાર માનતા હોય છે, ભલે તે હારી જાય કે જીતી જાય. હવે તો માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અપક્ષમાંથી જીતી ગયા છે, અને તેમના સમર્થકોનો મોટો વર્ગ છે, પણ આવી અદેખાઈ કરવી કેટલી વ્યાજબી છે?
