અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા લોકોને પોતા-પોતાના દેશ તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે ત્યારે 104 ભારતીયોને લઈને પહેલું વિમાન ગઈકાલે જ અમૃતસર આવી પહોંચ્યું હતું. જેમાં 33 જેટલાં ગુજરાતીઓ હતા. જેમને લઈને એક વિમાન અમૃતસરથી દિલ્હી થઈને અમદાવાદ આવી પહોંચ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતાં જ આ લોકો તેમના ચહેરા છુપાવતા નજરે ચઢ્યા હતા. જેમના દૃશ્યો હવે સામે આવવા લાગ્યા છે. તેમને લઈ જવા માટે સરકાર દ્વારા પોલીસ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેમને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડશે.
ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો અને સુરતના 4 તથા અમદાવાદના 2 અને ખેડા-વડોદરા તથા પાટણના 1-1 લોકો સામેલ છે.
