જય અમીન/અંકિત ચૌહાણ
ગાંધી જ્યંતિ આવે તે પહેલા સ્વચ્છતા પખવાડિયા સહિતના કાર્યક્રમો યોજી રાજ્યભરમાં મોટા તાયફા થતાં હોય છે. જે સરકારી સેવકોના શીરે આ જવાબદારી આપવામાં આવતી હોય છે, તે સેવકો થોડા સમય પછી બધુય ભૂલી જાય છે અને નગરો, ગામડાો કે પછી જાહેર જગ્યાઓ તો ઠીક, તેમની કચેરીઓની સ્વચ્છ રાખી શકતા નથી. આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લા સેવા સદનની છે.
કલેક્ટર કચેરીની બરોબર ઉપરના માળે આવેલી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ ઓફિસની બહાર એવી હાલત કરી દેવાઈ છે, કે આમને કયો અવેર્ડ આપવો, તે સમજાતું નથી. DILR કચેરીની બહાર એક ડસ્ટબિન એટલા માટે મુકાયું છે કે, કોઈ અરજદાર બિનઉપયોગી કાગળ કે ચબરકી બહાર ન ફેંકે. પણ અહીં તો કાગળ કે ચબરકી કરતા તો પાન-મસાલાની પીચકારીઓ વધુ જોવા મળી રહી છે. સરકારે દિવાલ પર જે કલર કર્યો હતો, તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને લાલ રંગની દિવાલ રંગાઈ ગઈ છે.
કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ અહીં એક લટાર મારવી જોઈએ, જેથી ખ્યાલ આવી શકે કે, અહીં કેટલા અધિકારી કે કર્મચારીઓ મોં માં માવો ખાઈને કામ કરે છે. થોડી વાર થાય અને બહાર આવી માવો મસળીને પાછી સીટ પર બેસી જવાની કુટેવ ધારતા કર્મચારીઓ અને અધિકારીઓએ જ જિલ્લા સેવા સદનની પથારી ફેરવતા હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનના તાયફા કરતા અધિકારીઓએ પાન મસાલાની કુટેવ ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પર લગામ લગાવવી જોઈએ, જેથી સરકારી મકાનોમાં થતી ગંદકી દૂર થઈ શકે.





