જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાની ગાડી પર હુમલો થયો છે. આતંકવાદીઓએ સૈન્યના વાહન પર ગોળીબાર કર્યો હતો. બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ સૈન્યના વાહન પર એકથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સર્ચ ઓપરેશન શરૂ
શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલાખોરો જંગલમાં છુપાયા હોવાની આશંકા છે. સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સથી આશરે પાંચ-છ કિમી દૂર આ ઘટના બની હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધી
અગાઉ સાત ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતાં. તેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો હતાં. જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં 11 ફેબ્રુઆરીએ એક આતંકી હુમલામાં સેનાના કેપ્ટન સહિત બે જવાન શહીદ થયા હતાં. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે એલઓસીની પાસે અખનૂર સેક્ટરમાં થયેલા આઇઇડી બ્લાસ્ટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતાં. જેમાંથી બે જવાનોના સારવાર દરમિયાન મોત થયા હતાં.





