અસામાજિક તત્વોને અરવલ્લી પોલિસે કહ્યું માર્યાદામાં રહેજો નહીંતર પરિણામ ભોગવવા રહેજો તૈયાર
રાજ્ય સરકાર હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડહોળનાર શખ્સો પર કડકાઈ રીતે કાર્યવાહી કરવાના મૂળમાં છે, કારણ કે, અમદાવાદમાં બનેલી ઘટના બાદ પોલિસ હવે દાગ લાગે તેવું ઈચ્છતી નથી. ગૃહ વિભાગ રાજ્યના તમામ પોલિસ વડાને આદેશ કરીને આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા સૂચનો કરતા, પોલિસ આવા નમૂનાઓને શોધી કાઢ્યા છે. ખાસ કરીને આંતરરાજ્ય સીમા સાથે જોડાયેલી જિલ્લાઓમાં પણ ખાસ તકેદારી રખાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં પોલિસ તંત્રએ 109 જેટલા અસામાજિક તત્વની યાદી તૈયાર કરી, રાજ્ય પોલિસ વડાને મોકલી આપી હતી. હવે આવા તત્વોના આગતા-સ્વાગતા ની પોલિસ તૈયારી કરી રહી હોય તેવું પણ લાગે છે. આ પહેલા પોલિસ આવા નમૂનાઓને કડક સૂચના આપી દીધી છે, પોલિસે કહ્યું કે, માપમાં રહેજો નહીંતર ગયા.
અરવલ્લી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા શરીર સબંધી ગુનાઓના આરોપીઓને ખાસ પોલિસ કચેરીએ હાજર કરાયા હતા. આવા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ કાયદાની મર્યાદામાં રહેવા માટે પણ કડક શબ્દોમાં ટકોર કરાઈ હતી. અરવલ્લી જિલ્લા પોલિસ હવે કાયદો વ્યવસ્થા કથળે, તેવું જરાય ઈચ્છતી નથી અને આવા તત્વોને ખાસ સૂચના આપીને મર્યાદામાં રહેવાનું કહી દેવાયું છે. અરવલ્લી જિલ્લા પોલિસ એટલે સુધી કહી દીધું છે કે, માપમાં રહેજો, નહીંતર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. પોલિસની આવી ટકોરથી આવા તત્વોની શાન ઠેકાણે આવશે કે નહીં, તે જોવું રહ્યું.
