મુખ્યમંત્રીના આગમનને લઇને રૂટ પર અધિકારીઓનું ભરબપોરે રીહર્સલ, લોકો ખાખરાની જેમ શેકાઈ ગયા !!!!
અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીના આગમનને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, પણ એવી તૈયારીઓ શું કામની જેનાથી લોકોને તકલીફ પડે. મક્કમ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી હંમેશા કહે છે કે, પ્રજાને કોઈ તકલીફ ન પડે તેવી રીતે અધિકારીઓ કામ કરે, નહીં કે, દેખાડો કરવા. અહીં તો બે દિવસથી આખુ ગામ માથે લીધું છે, જેને લઇને લોકોને કેટલીય તકલીફ પડી. મિનિટ્સ ના રીહર્સલમાં એ.સી. ગાડીઓમાં અધિકારીઓ દોડતા રહ્યા અને અગનગોળા વરસાવતી ગરમીમાં લોકો તપતા રહ્યા.
મોડાસા શહેરમાં મુખ્યમંત્રી વિવિધ લોકાર્પણના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, જેને લઇને મુખ્યમંત્રીના રૂટ પર પોલિસ અને તંત્ર દ્વારા રીહર્સલ યોજવામાં આવ્યું હતું. 19 એપ્રિલના રોજ ખરા બોપેર રીહર્સલ યોજતા, કેટલાય લોકો રસ્તામાં અટવાઈ પડ્યા હતા. મોડાસા ની સરકારી એન્જિનિયરિંગ કોલેજથી નવા આઈકોનિક તૈયાર થયેલા બસ સ્ટેશનનું ઉદ્ધાટન થવાનું છે, જેને લઇને આ મુખ્યમંત્રીના રૂટ પર પોલિસ અને વહીવટી તંત્ર દ્વારા રીહર્સલ યોજવામાં આવ્યું હતું. ખરા બપોરે આખું ગામ માથે લઇને લોકોને હેરાન પરેશાન કરી દીધા હતા. શામળાજી બાયપાસ રોડ પર પણ લોકો અટવાઈ પડ્યા હતા. અહીં તત્વમ આર્કેડ ખાતે પણ જનસંપર્ક કાર્યાલયનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાવાનો છે, જેથી આ રૂટ પણ રીહર્સલમાં જોડવામાં આવતા, લોકો પરેશાન થઈ ગયા હતા.
પ્રજાને તકલીફમાં મુકીને તંત્રએ ખરા બપોરે એવી તો શું જરૂર હતી કે, આટલું રીહર્સલ કરવું પડ્યું ? શું રીહર્સલ સાંજના સમયે નહોતું થઈ શકતું કે શું ? ચાલો બપોરના સમયે રીહર્સલ યોજવું હતું તો, લોકો હેરાન ન થાય, તેનું પણ ધ્યાન રાખવું જોઈતું હતું.
