અમદાવાદના બાપુનગરમાં અકબર નગરના 450થી વધુ ઝુંપડાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યાં. 5 જેસીબી, 7 હિટાચી મશીનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં કામગીરી. 15,000 ચો.મી. જગ્યા ખુલ્લી.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબર નગરના છાપરામાં 450 થી વધુ નાના-મોટા કાચા પાકા ઝુંપડા આવેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા જેમાંના 76 લોકો અત્યારે હજી પણ અહીંયા રહે છે અત્યારે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા પાંચ જેસીબી મશીન અને પાંચથી વધુ હિટાચી મશીન સાથે એક જ દિવસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે કલાકમાં તમામ 450 જેટલા ઝુંપડાઓ અને નાના-મોટા કાચા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એક સાથે પાંચથી વધુ હિટાચી મશીન અને મશીનરીની મદદથી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં આ દબાણ કરવામાં આવ્યું હતું.
બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અકબર નગરના છાપરા તરીકે ઓળખાતી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે વર્ષોથી તેમાં દબાણો કરી દેવામાં આવ્યા હતા વર્ષ 2014માં પણ તેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 221 જેટલા લોકોને વટવા ખાતે મકાન ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેઓ પાછા રહેવા આવી ગયા હતા. અકબર નગરના છાપરામાં જ રહેતા બે જેટલા આરોપીઓએ રખિયાલ વિસ્તારમાં પોલીસ અને તલવાર અને ચપ્પુ બતાવી અને ડરાવ્યા ધમકાવ્યા હોવાની ઘટના બની હતી જે બાદ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે લોકો વૈકલ્પિક વ્યવસ્થા મળવાને પાત્ર છે તેઓને આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન નો સંપર્ક કરવા જણાવ્યું હતું. વર્તમાન પત્રોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી જે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે 29 મે ના રોજ વહેલી સવારે 7.30 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 450 થી વધુ ના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે બાપુનગર વિસ્તારમાં આવેલા અકબર નગરના છાપરા વિસ્તાર તરીકે ઓળખાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 5 જેસીબી, 2 હિટાચી બ્રેકર, 7 હિટાચી મળી 14 વિશાળ મશીનરી સાથે 100 મજુર સાથે ડીમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી છે.ડિમોલિશનના અંતે 15000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.ગેરકાયદે બાંધકામોને તેજ સમયથી નોટિસ આપવાની શરૂઆત કરી દેવાઈ હતી આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ
H ડિવિઝન એસીપી આર. ડી ઓઝાએ જણાવ્યું હતું કે બાપુનગરના અકબર નગરના છાપરા ના ડીમોલેશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 2 એસીપી , 9 પીઆઇ, 27 પીએસઆઈ ,400 પોલીસકર્મી સહીત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલેશન કરવામાં આવ્યા છે.
વર્ષ 1987માં છેલ્લે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જગ્યામાં ડિમોલેશન ની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારબાદ અવારનવાર સર્વે અને જે પણ ગેરકાયદેસર રહેતા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા અને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા માટે જાણ કરી હતી પરંતુ તેમ છતાં પણ વર્ષોથી આ જગ્યા ઉપર દબાણ કરીને લોકો રહેતા હતા છે ત્યારે છેવટે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
15,000 ચોરસ મીટર જેટલી જગ્યા દૂર કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇબ્રેરી ગાર્ડન તેમજ વોર્ડ ઓફિસ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટેની વિચારણા હાથ ધરવામાં આવશે અત્યારે ડિમોલેશન બાદ ફરીથી દબાણ ન થાય તેના માટે દિવાલ પણ બનાવવામાં આવશે.
