અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોતીપુરામાં વરસેલા વરસાદ પછી ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, જેને કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચી જ નથી, તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોએ તો એમ પણ કહી દીધું કે, હવે તો માત્ર ભગવાન પર ભરોસો છે, અરવલ્લી આરોગ્ય વિભાગ પર નથી.
મોડાસા તાલુકામાં એક સપ્તાહ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે મોતીપુરા ગામ અને સીમાડામાં આવેલા ખેતરો જળબંબાકાર થયા હતા. આવી સ્થિતિ પછી હવે પાણી ઓસરી ગયા છે અને ગામમાં હજુ પણ વરસાદી પાણી છે. હવે ગામમાં રોગચળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે, જોકે આરોગ્ય વિભાગની ટીમ હજુ ઘોરનિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગે છે. ગામમાં આરોગ્ય વિભાગની ટીમ કેમ પહોંચી નથી, તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
આરોગ્ય વિભાગ હંમેશા કંઈ થાય પછી જ પહોંચે છે, આગોતરૂ આયોજન કેમ નથી કરતું તે પણ સવાલ છે. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ગંભીરતા દાખવી, આરોગ્ય વિભાગ પાસે ખુલાસો માંગવો જોઈએ કે, મોતાપુરામાં વરસાદ પછીની સ્થિતિનું નિરીક્ષણ કરવા કેમ નથી પહોંચ્યા ? આ બાબતે જવાબદાર કોણ ?
