મોડાસાના બડોદરા થી ફરેડી ગામ સુધી હાઈવે-ને જોડતા રસ્તાને પહોળો કરવાની માંગ
પટેલના મુવાડા થી ફરેડી ગામના હાઈવે ને જોડતા રસ્તા પર ખાડા, રીસર્ફેસ ક્યારે થશે ?
અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ નિદ્રાધિન !!
ભણેલા-ગણેલા અધિકારીઓને પ્રજાની હિત માટે જરાય રસ નથી કે શું?
સરકાર અધિકારીઓની નિમણૂંક કેમ કરે છે ? ફરવા કે કામ કરવા ?
અરવલ્લી જિલ્લામાં હાલ રોડની સમસ્યાને લઇને લોકોની ફરિયાદીઓ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. મોડાસા તાલુકાના બડોદરા ગામે પણ રસ્તાની માંગણી ઉઠવા પામી છે, જોકે તંત્રને રજૂઆત કરવા છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક કક્ષાએ અધિકારીઓના કાને તેલ રેડાતા, પ્રજાનો અવાજ, તેમના સુધી પહોંચી શકતો નથી. બડોદરા તથા વલ્લાવાંટા ગામ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના છેવાડે આવેલા છે. બડોદરા થી ફરેડી ગામને હાઈવેને જોડતો રસ્તો ડામર રોડ બનાવેલો છે. આ ડામર રોડ તૂટી ગયેલ હોય અને રસ્તા વચ્ચે મોટા-મોટા ખાડા પડી ગયેલ હોવાથી રસ્તાને રિ-સરફ્રેસિંગ કરવાની ગ્રામજનોની માંગણી છે. ગ્રામજનોનું કહેવુ છે કે,રસ્તાના રિ-સરફ્રેસિંગ કરવા માટે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, મંજૂરી મળ્યાને આઠ માસથી વધુ સમય વિતવા છતાં પણ હજુ સુધી કામ ચાલુ થયેલ નથી. ગ્રામજનોનું કહેવું છે કે, રસ્તાની હાલની પહોળાઈ આશરે 3.15 મીટર આસપાસ છે જેથી મોટા વાહનોને સાઈડ આપવામાં તકલીફો પડે છે. આ રસ્તાની પહોળાઈ 5.50 મીટર કરવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય તેમ છે.
આ સાથે જ પટેલના મુવાડાથી ફરેડી ગામને હાઈ-વેને જોડતો રસ્તો ડામર રોડ બનાવેલો છે, જેના પરથી ગ્રામજનો રોજિંદા કામ અર્થે અને બાળકો અભ્યાસ માટે અવર-જવર કરતા હોય છે. પરંતુ આ ડામર રોડ તૂટી ગયેલ હોય અને રસ્તા વચ્ચે મોટા-મોટા ખાડા પડી ગયા છે. રસ્તાના રીસર્ફેસ કરવામાં આવે,તેવી માંગ સાથેની અરજી કરવા છતાં, અધિકારીઓ મગનુું નામ મરી પાડવા તૈયાર નથી. આવા અધિકારીઓ શું કામના, જેને સરકારે પ્રજાના કામ માટે બેસાડ્યા હોય અને આવા અધિકારીઓ પ્રજાની વાતને સાંભળતા ન હોય.






