ગુજરાત રાજ્યમાં હાલમાં ઈ-કેવાયસી અને સ્કોલરશીપ ફોર્મ ભરવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. પરંતુ આ દરમ્યાન અરવલ્લી જિલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે આવેલા આધાર કાર્ડ સેન્ટરો બંધ જોવા મળી રહ્યા છે. જેના કારણે આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
કેન્દ્રો બહાર લગાવેલા સ્ટીકર મુજબ જાણવા મળ્યું છે કે, ઓપરેટરનો પગાર છેલ્લા 9 થી 10 મહિનાથી બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી બંધ છે, જ્યારે પગાર કરવામાં આવશે ત્યારે આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે. સામાન્ય રીતે અધિકારીઓ કર્મચારીઓના પગાર મહિનાની છેલ્લી તારીખ અથવા તો 1 થી 5 તારીખમાં પગાર થઈ જતો હોય છે, જોકે આધાર કેન્દ્રના ઓપરેટર્સના પગાર 9 મહિનાથી નહીં થતાં, સવાલ તો ઉઠવાના.
મોડાસા મામલતદાર કચેરી ખાતે પહોંચેલા અરજદારોએ જણાવ્યું કે, સ્કોલરશીપના ફોર્મ ભરવા આધાર કાર્ડ માં અપડેટ કરાવવા માટે આવ્યા છે, જોકે આધાર કેન્દ્ર બંધ છે. ઓપરેટર્સના પગાર ન થવાને કારણે હવે આધાર સેન્ટ્ર બંધ થતાં પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઓપરેટર્સ ના પગાર ક્યારે થશે, તે કહેવું મુશ્કેલ છે. પણ જ્યાં સુધી પગાર ન થાય, ત્યાં સુધી તો અરજદારોને ધરમના ધક્કા ખાવા પડશે, તે વાત ચોક્કસ છે.
