રાજ્યમાં મોટાભાગની કચેરીઓમાં આઉટસોર્સિંગ કર્મચારી અથવા તો કરાર આધારિત કર્મચારીઓ કાર્યરત હોય છે, જેઓના પગાર સમયસર નહીં થવાની ફરિયાદો સતત ઉઠવા પામતી હોય છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં આવેલી મામલતદાર કચેરી ખાતે કાર્યરત આધાર કેન્દ્રમાં ફરજ બજાવતા, ઓપરેટર્સના પગાર અધ્ધરતાલ હતા. છેલ્લા 9 મહિનાથી પગાર નહીં મળતા, આખરે કંટાળીને આધાર કેન્દ્રો પર કામગીરી બંધ કરી હતી. કેન્દ્રો પર સ્ટીકર લગાવીને જ્યાં સુધી પગાર નહીં થાય, ત્યાં સુધી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે મેરા ગુજરાતે સૌપ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. કર્મચારીઓનો મેરા ગુજરાત અવાજ બનતા, આખરે તંત્રએ ગંભીર નોંધ લીધી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે સવાલો કર્યા હતા. ઘટનાને પગલે સંબંધિત વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી અને આખરે ઓપરેટર્સનો પગાર થતાં, કર્મચારીઓમાં ખુશી પ્રસરી છે.
Mera Gujarat એ પ્રસિદ્ધ કરેલ અહેવાલની અસર
અરવલ્લી જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં આધાર કેન્દ્રો કાર્યરત છે, જ્યાં કામ કરતા ઓપરેટર્સનો છેલ્લા 9 મહિનાથી પગાર નહોતો થયો, આ અંગે મેરા ગુજરાતે 18 ઓગસ્ટના, 2025 ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. મેરા ગુજરાતના અહેવાલની અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ ગંભીર નોંધ લેતા, આખરે, વહીવટી તંત્રએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ કરતા, થોડા મહિનાનો પગાર થયો હોવાની વિગતો મળી છે. ઓપરેટર્સનો પગાર થતાં, ઓપરેટર્સ 20 ઓગસ્ટના રોજથી આધાર કેન્દ્રો ફરીથી શરુ કરશે, તેવી પણ વિગતો મળી છે.






