રાજ્યમાં ગમે તેવા સારા રોડ, સારી ટેકનોલોજીથી બનાવાય પણ ચોમાસામાં થી ધોવાઈ જ જતા હોય છે. આવું કેમ થાય છે, તેનો જવાબ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ભૂતકળામાં આપી ચુક્યા છે અને વર્તમાન પણ આપી રહ્યા છે. આવી કેસેટ દરવર્ષે વાગ્યા જ કરતી હોય છે, આવું એટલા માટે કે, આ કેસેટ કોન્ટ્રાક્ટર્સ દ્વારા ટેપ કરી દેવાતી હોય છે. આવું અરવલ્લી જિલ્લામાં પણ બનતું હોય છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ પણ આવી જાય છે. બંન્ને વિભાગોમાં અધિકારીઓ શું કરે છે, તે તો ભગવાન જાણે પણ લોકો ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુખ્યમંત્રીના હસ્તે મોડાસા રાજેન્દ્રનગર નો રોડ 2050 સુધીમાં બને તો પણ નવાઈ નહીં. અહીં એક્સ્ચેન્જ જાણે કેમ અને કોની રાહ જુએ છે, તે કહેવું મુશ્કેલ છે.

મોડાસા થી ડુંગરવાળા ચોકડી થી નીચે ઉતરતા રોડ તૂટી ગયો છે અને ઢાળ પડતો હોવાથી વાહન ચાલકોને મુુશ્કેલીઓ પડે છે, આ સાથે જ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા હોય છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં રજૂઆત કરાઈ છે કે, ઘણા વખત ખાડા પુરવામા આવે છે અને થોડા સમયમાં સ્થિતિ જેવી હોય તેવી જ બની જાય છે. આસપાસના વિસ્તારના લોકો સતત અહીંથી અવર-જવર કરતા હોય છે, જેને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ એ.સી. ચેમ્બરમાંથી જરાક બહાર આવે, તો લોકોનું ભલું થાય,તેવું પ્રજા ઈચ્છી રહી છે.
