અરવલ્લી જિલ્લામાં બે દિવસ પહેલાની ઘટના શિક્ષણ વિભાગ ભૂલી ગયું કે, ભુલાવી દેવાઈ?
બે દિવસ પહેલા બસ પલટી જતાં 30 થી વધુ બાળકોને ઈજાઓ પહોંચી હતી
હજુ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો બાળકોને ટ્રેક્ટરમાં લઈ જવાયા
કોઈ જવાબદાર અધિકારી છે કે નહીં ?
આવી રીતે મુસાફરી કરાવવી કેટલી વ્યાજબી?
ટ્રેક્ટર સાથે ટ્રોલી ગમે ત્યારે ફંગોળાતી હોય છે !!
કોઈપણ પ્રકારના સસ્પેન્સર ન હોવાથી વારંવાર કુદતી ટ્રોલીમાં બાળકોને ભરી દેવાયા
અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બે દિવસ પહેલા મોડાસા તાલુકાના ચોપડા નજીક સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી, જેમાં ત્રીસ થી વધુ બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનામાં શિક્ષણ વિભાગે તપાસ ના નામે પીલ્લુ વાળી દેતા, હવે બાળકોને ટ્રેક્ટર પર સવારીની જોખમી મોજ કરાવવામાં આવી રહી છે. મોડાસા ના હજીરા ની આસપાના વિસ્તારમાંથી ઘણાં ટ્રેક્ટર ભરીને બાળકોને લઈ જવામાં આવતા હતા, કેટલાક ટ્રેક્ટર્સ માં બાળકો નીચે બેઠેલા હતા, જ્યારે કેટલાક ટ્રેક્ટર્સમાં બાળકો જોખમી રીતે ઊભા હતા. વરસાદી માહોલમાં ગાડી સ્લીપ થવાની ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ટ્રેક્ટ્રસમાં વધારે વજન હોય તો, ટ્રોલી નમી જવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. આવી સ્થિતિમાં શાળાના ગણવેશમાં બાળકોને ટ્રેક્ટરમાં લઈ જવાનો આદેશ કોને આપ્યો છે, તે સવાલ છે.
શનિવારના દિવસે મોડાસા ના હજીરા વિસ્તારમાંથી ઘણાં ટ્રેક્ટર્સ પસાર થતાં હતા, જેમાં પ્રાથમિક ધોરણે એવું લાગતું હતું કે, કોઈ સરકારી શાળાના બાળકો આ ટ્રેક્ટર્સમાં હોય, આ બાળકો ક્યાંથી ક્યાં જતાં હતા, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ, અહીં આસપાના વિસ્તારમાં બાળકોને ટ્રેક્ટર્સમાં જોખમી રીતે બેસાડવામાં આવતા હતા. કયા અધિકારીએ મંજૂરી આપી હતી, તે સવાલ છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો, જવબદારી કોની તે પણ અહીં સવાલ છે.
આ અંગે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી નૈનેશ દવેનો સંંપર્ક કરતા જણાવ્યું કે, બાળકોને યોગ્ય વ્યવસ્થા સાથે મુસાફરી કરાવી શકાય છે, નહીં કે, નીયત સંખ્ય કરતા વધારે બાળકોને બેસાડીને. અહીં તો ટ્રેક્ટર્સ એ જોખમી ગણાય છે કારણ કે ટ્રેક્ટર સાથે ટ્રોલી કોઈપણ સમયે ફંગોળાવાની શક્યતા હોય છે. ત્યારે આ રીતે બાળકોને લઈ જવા કેટલા અંશે વ્યાજબી છે ? આ માટે જે-તે શાળાના આચાર્ય પણ જબાવદાર માની શકાય.
