અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી ચાલી રહી છે ત્યારે વિવિધ મામલતદાર કચેરીમાં રહેઠાણ ના દાખલા કરાવવા માટે લાંબી કતારો જોવા મળતી હોય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર, મેઘરજ અમે ધનસુરા સહિત વિવિધ મામલતદાર કચેરીમાં પણ આ કામગીરી પુલજોશમાં ચાલી રહી છે. સ્થાનિક મામલતદારના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર અને જન સેવા કેન્દ્રના કર્મચારીઓ ખડે પગે રહીને ઉમેદવારોને સત્વરે દાખલો મળી જાય અને ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીને લઈને મોડાસા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો રહેઠાણનો દાખલો કઢાવવા માટે પહોંચી રહ્યા છે. જલ્દીથી જલ્દી ઉમેદવારોને દાખલો કેવી રીતે મળી શકે તેવા પ્રયાસો મોડાસા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે. મામલતદાર ગોપી મહેતા ના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર ઉપસ્થિત રહીને, જનસેવા કેન્દ્રના કર્મચારીઓ દ્વારા અરજી ના આધારે દાખલા કાઢવામાં આવી રહ્યા છે. કોઈપણ અરજી બાકી ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ કર્મચારીઓ કામે લાગી જાય છે અને મોડી સાંજ સુધી અરજીઓનો નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં 500થી વધારે અરજીઓનો નિકાલ કરીને રહેઠાણ ના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગરના ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે.
