અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના ભિલોડા ટાઉનમાં આવેલ પી.બી. પટેલ બાલમંદિરમાં કે.જી.-૧ માં અભ્યાસ કરતું પાંચ વર્ષનું બાળક શાળા છૂટ્યા બાદ ગુમ થતા ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ ભિલોડા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના પગલે બાળકને ગણતરીની મિનિટોમાં શોધી પરિવારજનોને પરત સોંપવામાં આવ્યું હતું.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. ડાભી દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોની ઝડપી શોધખોળ માટે અગાઉથી જ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શનના આધારે ભિલોડા પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. વાળા તથા પોલીસ સ્ટાફે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી. બાળક શાળા છૂટ્યા બાદ ઘરે ન પહોંચતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી. ત્યારબાદ તાત્કાલિક પોલીસ સ્ટાફે બાળકની વિગત અને તસવીર સાથે મેસેજ તૈયાર કરી વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યો અને ભિલોડા ટાઉન તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી.
મિનિટોમાં બાળક મળી આવ્યો
પોલીસના સંકલિત પ્રયાસો અને ઝડપી તજવીજના કારણે ગુમ થયેલો બાળક ગણતરીની મિનિટોમાં જ મળી આવ્યો. બાદમાં બાળકને સુરક્ષિત રીતે ભિલોડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને તેના વાલી-વારસાને સોંપી પરિવારને રાહત અપાઈ.
