સામાન્ય અરજદારો માટે દંડ કરવામાં આવશે, તેવી ચેતવણીના પોસ્ટર લાગ્યા
સરકારી નોકરો ગુટકા ખાઈને પિચકારી મારે તો, તેમના માટે કોઈ જોગવાઈ ખરી?
કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ દંડાયા?
નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ ઘડાયા છે કે શું?
એમ લખો કે, સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ પાનની કે ગુટકા ખાઈ પિચકારી મારશે તો 5 હજાર દંડ
તમારી ચેમ્બરમાં અરજદારો તો જઈ શકતા નથી, તો આ પિચકારીઓ કોણે મારી?
ખાણ-ખનીજ વિભાગ, ઈ-ધરા સહિતની કચેરી બહાર આવા જ દ્રશ્યો
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં પ્રવેશ કરતા જ તમને અહીં ઠેર ઠેર સ્ટીકર લાગેલા જોવા મળશે જેમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે કે, “પાન મસાલા ખાઈને થુકવાની સખત મનાઈ છે જો કોઈ પકડાશે તો તેની સામે દંડ તેમજ અન્ય કાર્યવાહી કરવામાં આવશે”. હવે આવા સ્ટીકર કોના માટે લગાવવામાં આવ્યા છે તે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. આ સ્ટીકર અધિકારીઓ કે કર્મચારીઓ માટે નહીં, પણ માત્ર ને માત્ર અરજદારો માટે જ ચોંટાડાયા છે. બાકી અહીં તો અધિકારીઓ અને કર્મચારીઓ મસાલા કે ગુટકા ખાઈને બારીમાંથી ડોકિયું બહાર કાઢીને પિચકારી મારતા સતત જોવા મળે છે. અધિકારીઓ માટે કોઈ છે કાયદો કે નિયમ લાગુ પડતો ન હોય તેવું આ સ્ટીકર્સ પરથી સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદનના વિવિધ દીવાલો ઉપર એવા પણ સ્ટીકર્સ લગાવવા જોઈએ કે કોઈપણ અધિકારી કે કર્મચારી પાનની પિચકારી મારતા પકડાશે તો તેની સામે દંડ અથવા તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી વાત એ પણ સ્પષ્ટ છે કે જે જગ્યાએ પાનની પિચકારીઓ જોવા મળી રહી છે તેની અંદર બાજુએ અધિકારી અથવા તો કર્મચારી સિવાય કોઈપણ અરજદાર જઈ શકતું નથી. જે કચેરી અથવા તો બારી ની બહાર પાનની પિચકારીઓ મારેલી હોય તેવા અધિકારીઓને કર્મચારીઓને પણ દંડ ફટકારવો જોઈએ.
