“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ‘નિક્ષય-મિત્ર’ બન્યા. ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૧ સીએચઓ દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોષણક્ષમ કીટ વિતરણ કરી આરોગ્યપ્રતિ સમાજની સેવા દર્શાવી.

જીલ્લાના ૧૦૧ આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) નિક્ષય મિત્ર’ બની જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પોષણ ક્રીટનું વિતરણ કર્યું. આ પોષણ કીટમાં દર્દીઓના દૈનિક આહાર માટે અનાજ, દાળ, ગોળ, તેલ, ખજૂર અને ચણા જેવી જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને માત્ર પોષણ સહાય પૂરી પાડવાનો જ નહીં, પરંતુ તેમને રોગ સામે લડવા માટે શારીરિક રીતે મજબૂત બનાવવાનો પણ છે.
આ કાર્યક્રમ આગામી છ મહિના સુધી ચાલુ રહેશે, જેમાં દર મહિને દર્દીઓને આ પોષણ કીટ આપવામાં આવશે. આ પહેલથી ગ્રામીણ સ્તરે રહેલા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ પણ ફેલાઈ છે, જે સરકારના ‘ટીબી મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જીલ્લાના ૧૦૧ સીએચઓ દ્વારા ખોટા ખર્ચાને તિલાંજલિ આપી છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચવાની પહેલ કરી છે. ટીબીના દર્દીઓને નિયમિત પૌષ્ટિક આહાર માટે પોષણ કીટ આપી આપણું યોગદાન આપીએ. સેવા કાર્ય માટે આગળ આવીએ. નિ-ક્ષય મિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ. નિયમિત અને પુરા સમયની સારવાર અને પોષણ થકી ટીબી મટી શકે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ પરમાર અને ડો. આશિષ નાયક જીલ્લા ક્ષય અધિકારી દ્વારા આ મહત્વપૂર્ણ પહેલને લોકો સુધી પહોંચાડવા અને આરોગ્ય સેવાઓમાં સામાજિક સહયોગમાં વધારો કરવા અપીલ કરવામાં આવી. “સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન” દરમ્યાન આપ પણ નિ:ક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય આપી આપનું યોગદાન આપી શકો છો.
