હિંમતનગર નજીક નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સહકારી જીન વિસ્તાર પાસે બની હતી. જ્યાં એક બેફામ ગતિએ આવતી કારે કાબૂ ગુમાવી દેતા કાર 4 પલટી ખાઈ ગઈ હતી. આ કાર શામળાજી તરફથી આવી રહી હતી અને તેની ગતિ એટલી વધારે હતી કે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.

સહકારી જીન નજીક સર્જાયો અકસ્માત
કાર પલટી મારી જતાં અંદર સવાર બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર સિવિલ હોસ્પિટલની ટીમ અને એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. આ પ્રકારના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.






