વિસાવદર પછી ગુજરાતમાં માહોલ બદલાયો, પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીઓમાં AAP સારૂ પ્રદર્શન કરશે : ઈશુદાન ગઢવી
“ભાજપે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર આચર્યો, મનરેગા હોય કે અન્ય”
“ભાજપના મંત્રીઓની સીધી સંડોવણી, આવા મંત્રીઓને ભાજપ નથી હટાવતી”
“ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં, કપાસના ભાવ પણ નથી મળતા”
“બેરોજગાર યુવાનો ભાજપથી પરેશાન, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નેતાઓને મોજ”
અરવલ્લી જિલ્લામાં હવે આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. પહેલા આપના રાષ્ટ્રીય નેતાઓ આવ્યા હતા અને હવે પ્રદેશના નેતાઓ પણ વિવિધ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના વિસ્તાર એવા મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત યોજાઈ હતી. 1 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આ અભિયાન શરૂ કર્યું છે અને તેની જ કડીરૂપે 21 સપ્ટેમ્બર, રવિવારે બપોરે એક વાગ્યે બાઠીવાડાના મહાદેવ મંદિર મેદાનમાં આ સભા યોજાઈ હતી. જનસભામાં મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી 100થી વધુ લોકોએ આમ આદમી પાર્ટી જોડાયા હોવાનું આપે ઉમેર્યું હતું. આ કાર્યકરોને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના હાથે ખૈસ પહેરાવી આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, મોટી સંખ્યામાં રાજ્યમાં લોકો આપ માં જોડાઈ રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તમામ બાબતે ભાજપને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપના નેતાઓ હાલ પૈસા ભાગે કરવામાં પડ્યા છે. હાલ બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષકોના મુદ્દા, ખેડૂતોના મુદ્દાઓને બાજુ પર રાખી, નેતાઓ અન્ય કામોમાં લાગી ગયા છે. મોડાસા સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, ભાજપે 30 વર્ષમાં ભ્રષ્ચાચાર કર્યો છે. ભાજપ ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે અને મોતને ઘાટ ઉતારી રહી છે. વિસાવદર પછી રાજ્યમાં આપ ની લહેર છે, જેની અસર આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં જોડાવ મળશે. ભાજપના જે મંત્રીઓ અને નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે, તેમને હટાવતા નથી.
AAP ની સભામાં પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, ઉત્તર ઝોનના પ્રભારી બીપીનભાઈ ગામેતી, અરવલ્લી જિલ્લાના પ્રભારી રૂપસિંહ ભગોરા, પ્રદેશ ઉપપ્રમુખ બી.ડી. ડામોર, અરવલ્લી જિલ્લા પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર, માયનોરીટી પ્રમુખ ઉસ્માનલાલા, એસટી સેલના મંત્રી શંકરભાઈ, મેઘરજ તાલુકા પ્રમુખ કેતનભાઈ કટારા, ભિલોડા વિધાનસભા પ્રભારી જે.ડી. નીનામા, કાંતિભાઈ ખાટ, આરટીઆઈ સેલના વિજય પટેલ, ઉપપ્રમુખ વિજય વકીલ, ભીખાભાઈ પગી, લોકસભા ઇન્ચાર્જ તેમજ દિલ્હીના સહયોગી અભિલાષસિંહ અને પ્રિન્સ ઉપસ્થિત રહ્યા હતા.
