સ્વચ્છતા સેવા અભિયાન અરવલ્લી જિલ્લા પંચાયતમાં લાગુ પડે છે કે નહીં તે સવાલ
સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા અરવલ્લી જિલ્લા પંચાયતમાં
જિલ્લા પંચાયતમાં અરજદારોની અવરજવર નહીં વત હોવા છતાં પાનની પિચકારીઓ મારે છે કોણ?
જિલ્લા સેવા સદનમાં પાનની પિચકારીઓ મારવા ઉપર દંડના સ્ટીકર લગાવાયા છે તો જિલ્લા પંચાયતમાં કેમ નહીં?
અંકિત ચૌહાણ/જય અમીન
પીએમ મોદીના જન્મ દિવસથી સમગ્ર રાજ્યમાં મોટા ઉપાડે સ્વચ્છતા હી સેવા મોટા નામ આપીને વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં નેતાઓ, મંત્રીઓ, અને અધિકારીઓએ હાથમાં ઝૂડો ઉપાડીને સાફ-સફાઈ કરતા ફોટો પડાવી લીધા. આ અભિયાન દોઢ મહિના સુધા ચાલવાનું છે, જોકે માત્ર એક દિવસ પુરતું અભિયાન હવે સમેટાઈ ગયું હોય, તેવું સ્પષ્ટ લાગે છે.

અરવલ્લી જિલ્લા પંચાયતના વિવિધ શૌચાલયો, લોબી, ખુણા અને એવી કેટલીય જગ્યાઓ પર પાનની પિચકારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લા પંચાયતમાં અરજદારોની અવર-જવર ઓછી રહે છે, તો પછી પાનની પિચકારીઓ મારે છે કોણ તે સવાલ છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કચેરી નજીક આવેલા શૌચાલય બહાર પાન ની પિચકારીથી રંગરોગાણ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. આ સાથે જ થોડાક આગળ જતાં ચોરસ જગ્યાના તમામ ખૂણાઓ પર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર ની લોબી નીચેથી એક ડોકિયું કરીએ, તો ત્યાં પણ પાનની પીચકારીઓ જોવા મળી રહી છે.
આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લા સેવા સદનમાં છે, પણ હવે કહેવું કોને, તે સવાલ છે. માત્ર એક કે બે દિવસના સ્વચ્છતા હી સેવા ના તાયફા વચ્ચે અધિકારીઓ અહીં પોતું ક્યારે કરશે તે સવાલ છે. જાહેર જગ્યાએ કચરો ઉપાડતા અને કચરો સાફ કરતા અધિકારીઓએ હવે પોતાના ઘરની પણ એટલી જ સ્વચ્છતા કરવી જોઈએ, જેટલી તેઓ બહાર કરતા હોય છે. જે વિભાગની બહાર પાનની પીચકારીઓ હોય, તે વિભાગના અધિકારીઓને જિલ્લા પંચાયત દ્વારા એક એક પોતું કરવા માટે કાપડ ભેટ કરવા જોઈએ.
