અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત કરી છે, જોકે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓની ગાડી ચલાવતા આઉટસોર્સિંગ ડ્રાઇવર ના પગાર વધારાની હાલ કોઈ જ જાહેરાત નહીં થતાં મનોમન નારાજગી વ્યાપી છે. સરકાર દ્વારા એક બાજુ ડ્રાઇવરની ભરતી બંધ કરી દેવામાં આવી છે અને આઉટસોર્સિંગ ભરતી કરીને તેઓનું શોષણ થતું હોવાની બૂમો છાશવારે ઊઠવા પામતી હોય છે. આ વચ્ચે તેઓનો પગાર વધારો થશે કે નહીં તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં અંદાજે 80 થી વધારે આઉટસોર્સિંગ ડ્રાઇવર કાર્યરત છે, જોકે તેઓને પૂરતો પગાર મળે છે કે નહીં તે તપાસનો વિષય છે. ઉચ્ચ અધિકારીઓની ગાડી ચલાવતા ચાલકો ના મનની વાત કોણ અને ક્યારે સાંભળશે તે સવાલ છે. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ જિલ્લાના મુખ્ય મથકો માં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓના ગાડી ચલાવતા ચાલકોને યોગ્ય પગાર મળતો નથી, જેને કારણે મનોમન નારાજગી જોવા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ આઉટસોર્સિંગ એજન્સી ની પૂછપરછ કરીને પગાર વધારા બાબતે ટકોર કરવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. આટલી મોંઘવારીમાં ખૂબ ઓછો પગાર મળતો હોય, તો ઘર કેવી રીતે ચલાવવું અને દિવાળીની ઉજવણી કેવી રીતે કરવી? ડ્રાઈવર્સ પોતાની વેદના જાહેરમાં વ્યક્ત પણ કરી શકતા નથી, જેથી તેઓના મનની વાત નો પણ કાર્યક્રમ યોજવો જરૂરી છે.
અરવલ્લી જિલ્લાના તમામ અધિકારીઓને ફિલ્ડમાં લઈ જતા કારચાલકો ના, તો કોઈને કહી શકે છે, અને ના, તો પોતાની વેદના જાહેરમાં વ્યક્ત કરી શકે છે, જેથી તેઓ મનોમન પોતાની વેદના અમૃતના ઘૂંટડાની જેમ પી જતા હોય છે. પણ આ વેદના અધિકારીઓ એ સાંભળવી જોઈએ અને તેઓને યોગ્ય પગાર મળે અને વધારો થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ.
