અમદાવાદની એએમટીએસ બસમાં શહેરીજનો દિવાળીના તહેવારના ત્રણ દિવસ મફતમાં મુસાફરી કરી શકશે. ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી તમામ લોકોને મફતમાં મુસાફરીનો લાભ મળશે. દિવાળીનો તહેવાર નજીક હોવાથી અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જામી છે. એક તરફ અમદાવાદથી પોતાના વતન તરફ જતાં મુસાફરોની રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે મુસાફરો માટે દિવાળીમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી છે. ત્યારે હવે અમદાવાદમાં એએમટીએસ બસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદની એએમટીએસ બસમાં શહેરીજનો દિવાળીના તહેવારના ત્રણ દિવસ મફતમાં મુસાફરી કરી શકશે. ધનતેરસથી લઈને દિવાળીના દિવસ સુધી તમામ લોકોને મફતમાં મુસાફરીનો લાભ મળશે. એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં દિવાળી દરમિયાન આસપાસના ગામો અને શહેરોમાંથી ખરીદી કરવા અનેક લોકો આવે છે. આ લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દિવાળીના ત્રણ દિવસમાં મફત મુસાફરી કરી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવા અંગેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી જેવા સ્લોગન અંતર્ગત સ્વદેશી ખરીદીને વેગ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જેથી દિવાળીમાં અમદાવાદીઓ અને આસપાસના નાના શહેરોના લોકો ખરીદી કરવા અમદાવાદમાં આવે છે. આ દરમિયાન તેમને સરળતા રહે તે માટે 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ એએમટીએસની બસોમાં મફત મુસાફરી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેતુ માટે એએમટીએસ કમિટીમાં મુકવામાં આવેલી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પણ મુકવામાં આવશે.






