અરવલ્લી જિલ્લામાં એક–બે નહીં પણ અનેક સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠતા રહ્યા છે. હવે ફરી એક વખત અરવલ્લી જિલ્લાના એક મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગના એક ચોક્કસ સર્કલ ની કામગીરી ની ચર્ચાઓએ એવું તે જોર પકડ્યું છે કે, વાત જવા દો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, અરજદારની ફાઈલ કચેરીમાં પહોંચે એટલે સર્કલ અધિકારી દ્વારા સીધી કાર્યવાહી કરવા બદલે, અરજદારના ગામના અથવા નજીકના ઓળખાણીઓને ફોન કરીને સંપર્ક સાધવામાં આવે છે.
અરજદાર સુધી દબાણ ઊભું થાય અને તેની પર માનસિક અસર પડે તે રીતે તમારી ફાઈલમાં આ ખામી છે, આવું કહીને સંદેશ પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાનો હેતુ એક જ છે અને તે છે, સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે વહીવટી.. કેટલાક લોકો પાસેથી એવી પણ જાણકારી મળી છે કે, સર્કલ દ્વારા છેલ્લા સમયગાળામાં સફળ વહીવટ ન થતાં અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. જો કે આ બાબતે સત્યતા શું છે, તે કહેવું મુશ્કેલ છે. કેટલાક લોકોને એવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કેટલીક અરજી અથવા તો ફાઈલ નામંજૂરી પાછળ વ્યક્તિગત હિત કે દબાણની પદ્ધતિ છુપાયેલી હોઈ શકે છે.
જાહેરજનની માંગ છે કે મામલતદાર કચેરી તેમજ જિલ્લા સ્તરે આ મુદ્દે સત્તાવાર તપાસ શરૂ થાય, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. થોડા વર્ષ અગાઉ મેઘરજ મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન મળીને ઘણાં વિભાગમાં ACB પણ થયેલી છે, છતાં પણ કેટલાક આવા ભ્રષ્ટ સરકારી અધિકારીઓને પગારથી પેટ નહીં ભરાતા, જરૂરિયાતમંદ અરજદારોને ધક્કા ખવડાવવાનું સારૂ લાગે છેે.
