ગુજરાતનું વન્ય જીવન એશિયાઈ સિંહો માટે જાણીતું છે, પણ હવે કદાચ આ ઓળખ બદલાઈ જશે. ત્રણ દાયકાથી વધુ સમય પછી ગુજરાતનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાઈ છે, જેણે લીધે ગુજરાતને ફરીથી ટાઈગર સ્ટેટ તરીકેની ઓળખ મળી શકે છે. ત્યારે ગુજરાતને ટાઇગર સ્ટેટ જાહેર થવા અંગે વન અને પર્યાવરણ મંત્રીઅર્જૂન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે.
અર્જૂન મોઢવાડિયાએ ખુલાસો કરીને જણાવ્યું કે NTCAએ કોઈ જાહેરાત નથી કરી, પરંતુ દાહોદમાં વાઘ દેખાયા પછી NTCA તપાસ કરી હતી. તેમણે જણાવ્યું કે એક અભ્યાસ સમિતિએ રતનમહાલમાં તપાસ કરી છે. વાઘ માટે ઘર બની શકે તેવી બાબતો અભ્યાસ સમિતિએ ટાંચી છે. ત્યારે વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે. વન વિભાગ પાસેથી માહિતી પ્રમાણે, મધ્ય પ્રદેશની સરહદ પરથી એક વાઘ ફેબ્રુઆરીમાં દાહોદના રતનમહાલમાં આવ્યો હતો, જે છેલ્લા 10 મહિનાથી એ જ વિસ્તારમાં છે અને તેણે આ જંગલને પોતાનું ઘર બનાવી લીધું છે.
ગુજરાતને ટાઈગર સ્ટેટના દરજ્જા અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું, કે, “ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટીએ એક અભ્યાસ સમિતિ મોકલી હતી. એ અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે. એ અહેવાલ પ્રમાણે, અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવી છે. એ ઉપરાંત અહીં વાઘની ઇકો સિસ્ટમ બની શકે એમ છે. આ ઇકો સિસ્ટમને મજબૂત કરવા માટે અનેક પગલાઓ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવ્યા છે.”
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લે વર્ષ 1989માં વાઘની સત્તાવાર ગણતરી થઈ હતી. એ પછીથી વાઘના પુરાવા ન મળતા ગુજરાતને વાઘની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. પણ હવે ફરી એકવાર દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘની સ્થાયી હાજરીથી ગુજરાતને ટાઈગર સ્ટેટનો દરજ્જો મળી શકે છે.
