જાયન્ટ્સ મોડાસાના દેહદાન અભિયાન હેઠળ વધુ એક પ્રેરણાદાયી સેવાકાર્ય સાકાર બન્યું છે. ધનસુરા તાલુકાના ગઢકંપા ગામના વતની તથા હાલ વડોદરા નિવાસી સ્વર્ગસ્થ પટેલ દેવીબેન વાડીલાલ પટેલના પાર્થિવ દેહનું પરિવારજનોની સંમતિથી ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે દેહદાન કરવામાં આવ્યું હતું. આ દેહદાનથી મેડિકલ વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન માટે અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થશે.
આજના સમયમાં ગંભીર બીમારીઓ, અકસ્માતો અને અંગોની અછત જેવી પરિસ્થિતિઓ વચ્ચે દેહદાન માનવતાનું સર્વોચ્ચ દાન માનવામાં આવે છે. દેહદાન દ્વારા ભાવિ ડોક્ટરોને માનવ શરીરની રચના અને સારવાર પદ્ધતિઓનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે ભવિષ્યમાં અસંખ્ય દર્દીઓના જીવનને સ્પર્શે છે. જાયન્ટ્સ મોડાસાના રક્તદાન–ચક્ષુદાન–દેહદાન પ્રોજેક્ટના ચેરમેન નવીનભાઈ રામાણી અને તેમની ટીમ વર્ષોથી સમાજમાં દેહદાન અંગે જાગૃતિ ફેલાવવા, અંધશ્રદ્ધા દૂર કરવા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા સતત કાર્યરત છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારો દેહદાન માટે પ્રેરિત થયા છે.
આ પ્રસંગે ડો. હરિભાઈ પટેલે સ્વર્ગસ્થ દેવીબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે દેહદાન જેવી સેવાભાવી પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે જાયન્ટ્સ મોડાસાના દેહદાન અને ચક્ષુદાન અભિયાનને વધુ વેગ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.
જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, “દેહદાન માત્ર એક વ્યક્તિનું દાન નથી, પરંતુ સમગ્ર માનવજાતના આરોગ્ય અને ભાવિ તબીબોના શિક્ષણ માટેનું અમૂલ્ય યોગદાન છે. આવા સેવાભાવી નિર્ણયથી સમાજમાં માનવતાનો સંદેશ વધુ મજબૂત બને છે.”
જાયન્ટ્સ મોડાસાના પ્રયાસોથી આ ચોથું દેહદાન ઝાયડસ મેડિકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાયન્ટ્સ પ્રમુખ પ્રદીપભાઈ ખંભોળજા, મંત્રી વિનોદભાઈ ભાવસાર, અમરીશ પંડ્યા, પરમાર, નિલેશ જોષી સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ દેવીબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારના આ માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો હતો.
દેહદાન જેવી મહાન પહેલ દ્વારા જાયન્ટ્સ મોડાસા સમાજમાં સેવા, સંવેદના અને વૈજ્ઞાનિક વિચારસરણીનો પ્રેરણાદાયી સંદેશ પહોંચાડી રહ્યું છે, જે નિઃસંદેહ અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ બનશે.





