કેરબાની સ્વચ્છતા, પાણીની ગુણવત્તા અને નિયમિત તપાસ અંગે લોકો ઉઠાવી રહ્યા છે પ્રશ્નો
અરવલ્લી જિલ્લામાં પીવાના મિનરલ વોટરની ગુણવત્તા અંગે લોકોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક સ્થળોએ ગાળેલા મિનરલ પાણીમાંથી લીલ જોવા મળ્યાની ચર્ચા બાદ લોકો પાણીની શુદ્ધતા અને તેની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, મિનરલ પ્લાન્ટમાંથી સપ્લાય થતું પાણી ખરેખર સંપૂર્ણપણે શુદ્ધ અને પીવા માટે સલામત છે તેની ખાતરી કેવી રીતે થાય? જો ફિલ્ટર થયેલા પાણીમાં પણ અશુદ્ધિ જોવા મળે તો તે ગંભીર બાબત ગણાય. આ સાથે જ મિનરલ વોટરના કેરબા (જાર)ની સ્વચ્છતા, ધોવાની પ્રક્રિયા અને જાળવણીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વારંવાર ઉપયોગમાં લેવાતા કેરબાની યોગ્ય રીતે સફાઈ અને સેનિટાઇઝેશન કરવામાં આવે છે કે નહીં, તે અંગે ગ્રાહકોમાં શંકા વ્યક્ત થઈ રહી છે.
આખરે મિનરલ વોટર પ્લાન્ટની ગુણવત્તા, પાણીના નમૂનાઓની ચકાસણી અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી કયા વિભાગની છે? શું સંબંધિત વિભાગ દ્વારા નિયમિત નિરીક્ષણ અને સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે છે?
જો ક્યાંય નિયમોના ભંગની ફરિયાદો કે તથ્યો સામે આવે તો સંબંધિત વિભાગે મિનરલ વોટર પ્લાન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી પાણીની ગુણવત્તા, કેરબાની સ્વચ્છતા અને લાઇસન્સની સ્થિતિની ચકાસણી કરવી જોઈએ. પીવાનું પાણી લોકોના આરોગ્ય સાથે સીધું જોડાયેલું હોવાથી તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ગંભીર પરિણામો સર્જી શકે છે.






