સરકારી સમય પૂરો થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ હાજર રહે છે કે પછી ઘડિયાળના કાંટા 5 વાગે એટલે મન પણ ‘લૉગ આઉટ’ થઈ જાય છે?
ઓચિંતું ચક્કર લગાવે તો ખબર પડે કે દર્દીઓની સેવા થઈ રહી છે કે પછી માત્ર હાજરીનો હિસાબ જ ચાલી રહ્યો છે.
આખરે PHC દર્દીઓ માટે છે કે પછી સાંજની બેઠક માટે… તેનો જવાબ તો ઓચિંતી મુલાકાત જ આપી શકે!
અરવલ્લી જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માં સાંજે 5 વાગ્યા પછી તમામ સેવાઓ નિયમિત રીતે ચાલુ રહે છે કે નહીં, તે અંગે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે, કેટલાક PHCમાં કોઈ જરૂરી કામ માટે પહોંચતા કર્મચારીઓની હાજરી અંગે પ્રશ્નો ઉભા થાય છે. માત્ર અંતરિયાળ વિસ્તારો જ નહીં, પરંતુ કેટલાક શહેરી વિસ્તારના PHCને લઈને પણ લોકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ભૂલથી જો સાંજે પાંચ વાગ્યા પછી જો કોઈ કર્મચારીને કામ માટે પૂછ્યું તો, જાણે તેમનો પાસે મોટું વરદાન માંગી લીધું હોય, તેવા મોં થઈ જતાં હોય છે.
દર્દી દવા લેવા જાય તો પહેલાં નજર કર્મચારીને શોધવામાં જાય… પછી ફાઈલ શોધવામાં… અને છેલ્લે કામ થશે કે નહીં તેની આશા રાખવામાં!
સરકારી સમય મુજબ તમામ કર્મચારીઓ સમયસર હાજર રહે છે અને નિયત સમય સુધી ફરજ બજાવે છે કે નહીં? તેની દેખરેખ રાખવાની જવાબદારી કોની છે? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક સ્થળોએ સાંજના સમયે કામગીરી કરતાં કર્મચારીઓ વચ્ચે બેઠકો અને વાતચીત વધુ જોવા મળે છે, જ્યારે દર્દીઓને જરૂરી સેવા માટે રાહ જોવી પડે છે.
જો આ પ્રકારની ફરિયાદોમાં તથ્ય હોય, તો જિલ્લા આરોગ્ય તંત્ર અને ઉચ્ચ અધિકારીઓએ સાંજે 5 વાગ્યા બાદ વિવિધ PHCમાં ઓચિંતી મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ. સાથે જ જ્યાં બેદરકારી જણાય ત્યાં જવાબદારી નક્કી કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, તે જરૂરી છે, કારણ કે, સરકાર કરોડો રૂપિયા આરોગ્ય ક્ષેત્રે ખર્ચ કરે છે, નહીં કે, ટાઈમ પાસ કરવા.







At least doctor treat patient, but doctor are less corrupt than media….