ત્રણ મહિલા તબીબ સહિત ચાર ડોક્ટર ૬ મહિના માટે સસ્પેન્ડ, મરવા મજબૂર કરનાર સામે ફરિયાદ નોંધાશે..!!
ડૉ.હર્ષ પંડ્યાની અંતિમવિધિમાં હજ્જારો લોકો ઉમટ્યા, રેગિંગ કરી નિર્દોષ યુવા તબીબનો ભોગ લેનારને ફાંસીની સજા કરવામાં આવેની માંગ
મોડાસા શહેરના અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને માઇક્રોબિલોજી માસ્ટરના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર ડૉ.હર્ષ સુભાષભાઈ પંડ્યાએ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે.રેસિડેન્ટ તબીબના રહસ્યમય આપઘાત કેસમાં મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડૉ. હર્ષ પંડ્યાનું તેના સીનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા ત્રણ સિનિયર મહિલા તબીબ સહિત ચાર તબીબ વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે
ડો. હર્ષ પંડ્યા આપઘાતની ઘટનામાં પિતાની ફરિયાદના આધારે રેગિંગ અંગે તપાસ હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને તેના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8.30થી સવારના 04.00 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો.
ડૉ.હર્ષ પંડ્યા અપકૃત્ય કેસમાં પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું કમિટીના અહેવાલના આધારે, શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો (1) ડૉ. નિરાલી વસાવે, (2) ડૉ. અનુજ મહેશ્વરી, (3) ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને (4) ડૉ. હિના ભુતને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા આદેશ કરવામાં આવ્યો છે
માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકાઈ છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે.
INBOX : ડો.હર્ષ પંડયાના આપઘાતને પગલે આરોગ્ય મંત્રી આકરા પાણીએ
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેગિંગ કરનારા તબીબોને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે આવું કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો. તમારા સર્ટિફિકેટમાં આની નોંધ થશે તો લોકો તમને ધિક્કારશે
રેગિંગનો કાયદો કાગળના વાઘ સમાન
ગુજરાતમાં રેગિંગની ઘટનાઓ સતત બહાર આવતા સરકારે રેગિંગના દૂષણને ડામવા સખ્ત કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે રેગિંગના માનસિક ત્રાસથી અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર બન્યા છે અમુક વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને ગંભીર અસરો પહોંચવા છતાં રેગિંગ અટકતું નથી રેગિંગ માટે બનાવેલ કાયદો ફક્ત કાગળના વાઘ સમાન બની રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
ડૉ.હર્ષ પંડયાનો અંતિમવિધિ માટે મોડાસા લાવવામાં આવતા પરિવારજનોનું કલ્પાંત
ડૉ.હર્ષ પંડ્યાનો મૃતદેહ મદદે વતન મોડાસા લાવવામાં આવતા પરિવારજનો અને સગા-સંબધીઓએ ભારે આક્રંદ કરું મૂક્યું હતું તેમના માતા પિતાએ એકનેક જુવાનજોધ પુત્ર અને બહેન ભાઈ ગુમાવતા સુદબુધ ખોઈ બેઠા હતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી રેગિંગથી મોડાસા શહેરના આશાસ્પદ તબીબના મોતના પગલે તબીબી આલમ સહિત શહેરીજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે






